પૃષ્ઠ:Rasdhar4.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૬
સૌરાષ્ટ્રની રસધારઃ ૪
 

કરું? દેહનાં ભાડાં તો આત્મરૂપી ભાતને દેવાં જ પડે છે.

ભાંગ્યું ભાડ ચડે, વાણ વસિયાતું તણું,
આધો પંથ આવે, નાંગલ તૂટ્યું નાગાજણા !

હે વહાલા નાગાજણ, તારું જીવતર તો અમારા જેવા પરદેશી વેપારીના વહાણુ તુલ્ય હતું. આજ એ નાવ અર્ધે પંથે આવીને ખરાબે ચડીને ભાંગી ગયું. મારી નૌકાનાં દોરડાં છેદાઈ ગયાં. હવે હું ક્યાં નીકળીશ?

આંસુડે ઘૂમટો ભીંજાઈ ગયો, અને જેમ જેમ રાત જામતી ગઈ તેમ તેમ એનો કંઠે વધુ ને વધુ ગળતો ચાલ્યો. નાગાજણની છાતી ગજ ગજ ઉછાળા મારવા મંડી, ધરાઈ રહ્યો. તૃપ્ત થઈ ગયો. ઘર પછવાડેથી આવીને એણે ચારણીનો ઘૂમટો ખેંચ્યો.

“લે, હવે બસ કર, બસ કર, તારી વાલપનાં પારખાં થઈ ગયાં.”

ચારણી ચોંકી. આ શું? મડું મસાણેથી પાછું આવ્યું?

“ચારણ ! જોગમાયાની આણ છે. બોલ, માનવી કે પ્રેત ?"

“માનવી. રૂંવાડુંયે ફર્યું નથી.”

“ચારણ, એરુ નથી આભડ્યો?”

“ના, એ તો મરશિયા માણવાની મોજ.”

“માણી લીધી ?”

“પેટ ભરી ભરીને.”

ચારણીએ ભરથાર સામે પીઠ ફેરવી. ઘૂમટો વધુ નીચે ઉતાર્યો. ચારણે ચમકીને પૂછ્યું : “કેમ આમ?”

“ચાલ્યો જા, ગઢવી ! તુને મૂવો વાંછ્યો. તારું નામ દઈને હું તુંને રોઈ. હવે તું મારે મન મડું જ છે. મડાંનાં મોઢાં જોવાય નહિ. જા, જીવીએ ત્યાં લગી રામ રામ જાણજે.”

“આ શું, ચારણી ?”

"ચારણીની ઠેકડી !"

લોકવાણી ભાખે છે કે એ અબોલા અને એ અજોણાં જીવતરભર ટક્યાં હતાં.