“કેની કોર જાશો ?”
“ચાકરી મિલે વહાં !”
“મારે ઘેર રહેશો ?”
“તું બનિયા ક્યા દેગા ?”
“બીજે શું મળશે ?”
“પંદરા પંદરા રૂપૈયા.”
“આપણા સોળ સોળ !”
નાગડાઓ ગામમાં દાખલ થયા. એ જ ટાણે તાતી ઘડીમાં વાણિયાએ નાગડાઓને પગાર ગણી દીધો. ચાર નાગડાઓની ચોકી વાણિયાના ઘર પર બેસી ગઈ.
દરબારની કચેરીમાં મશાલ થઈ ગઈ અમીરો વીખરાઈ ગયા, અને દરબારનો માનીતો જમાદાર વેલડું જોડીને કાઠિયાણીને બોલાવવા ચાલ્યો.
એ મોતીચંદ શેઠને ઘેર પહોંચ્યો ત્યારે નાગડાઓને સાચા ભેદની ખબર પડી. નાગડા ખરા રંગમાં આવી ગયા. એમણે જમાદારને મારી પાડ્યો.
ઝાલા રાજાએ જમાદારનું ખૂન સાંભળ્યું, અને વાણિયાએ તો પોતાની ડેલીએ નાગડાની પલટન બેસાડેલી છે એવા સમાચાર સાંભળ્યા. નગારે ઘાવ દઈને એણે ફોજને સજ્જ કરી.
“એકેય બાવો જીવતો ન રહેવા પામે !” એમ હાકલ થઈ. એવામાં તો “દોડજો ! કાઠી ! કાઠી ! કાઠી !” એવા અવાજ થયા. દરવાજે નગારાં વાગ્યાં.
પોણા ભાગની ફોજ લઈને રાજા દરવાજે દોડ્યો. જોયું ત્યાં તો દરવાનોની લોથો પડી છે. નદીના વેકરામાં પચીસ પચીસ કાઠી ઊભા છે. રાજાએ ફોજને કાઠીએાના કટક ઉપર હાંકી મૂકી. કાઠીઓ ભાગ્યા. પાછળ દરબારે ફોજનાં ઘોડાં લંબાવ્યાં. હળવદનો સીમાડો વળોટી ગયા. દરબાર જાણે છે કે