[બાદશાહજાદીને પરણ્યા પછી પોતાના આત્માની પવિત્રતા સિદ્ધ કરવા ગંગા-તીરે બેસીને કવિ જગન્નાથે ‘ગંગા-લહરી’ના શ્લોકે શ્લોકે માતા મંદાકિનીને ઘાટનાં પગથિયાં પર ચડાવ્યાં, અને પોતે માથાબોળ સ્નાન કીધું. એ ઘટના અને એ કાવ્યને અનુસરતો આ ચારણી પ્રસંગ અને આ દુહાકાવ્ય છે.]
‘અલ્લા. . . હુ . . . . .અક. . . . . .બ. . . . . . .૨ !’
જૂનાગઢની મસીદના હજીરા ઉપરથી મુલ્લા બે કાનમાં આંગળી નાખીને નમાજની બાંગ દેતા. મહોલ્લે મહાલ્લે એના અવાજના પડઘા ઘૂમવા લાગતા. અલ્લાના બંદાઓ દૂધ જેવા સફેદ ઝબ્બાઓ ઝુલાવતા લાવતા મસીદમાં દાખલ થઈ બિલોરી નીરે છલકતા હોજમાં પગ-મોં સાફ કરી, કાબાની મહેરાબ સામે ગોઠણભેર ઝૂકવા લાગતા.
બાદશાહની કચેરી વખતે જ્યારે જ્યારે એ બાંગ સંભળાતી ત્યારે કચેરીમાં એક માણસનું મોં મલકતું. એનું નામ હતું નાગાજણ ગઢવી. રા’ માંડળિકનું નિકંદન કઢાવનારી બાઈ નાગબાઈના દીકરાનો એ દીકરો. બાદશાહની કચારીમાં બિરદાઈ કરતો હતો.
બાદશાહે પૂછ્યું : “બંદગીને વખતે દાંત કાઢીને મશ્કરી કોની કરી?”
“મશ્કરી તો કરી આ બાંગ દેનાર મુલ્લાની.” નાગાજણે મોં મલકાવીને ખુલાસો દીધો.
૧૩૩