વાતને આજ સત્તાવીશ વરસ થઈ ગયાં. સંવત ૧૯૫૫ની સાલમાં મોતી શેઠ નામે રાણપુરનો વાણિયો નાગડકાની વાટે ગોળ લેવા આવેલ. તે દી તેણે આ પ્રમાણે અક્ષરેઅક્ષર વાત કરી :
આપા, થોડા મહિના અગાઉ હું નાગનેશ ઉઘરાણીએ ગયેલો. સાંજ પડ્યે, ઉઘરાણીના રૂપિયા વીસ મારા ખિસ્સામાં નાખીને મેં પાછા વળવાનું પરિયાણ કર્યું. ચોરે બેઠેલા ચૂંવાળિયા કોળીઓએ રૂપિયા વીસ મારા ખિસ્સામાં પડતા જોયા.
હું બહાર નીકળ્યો. મેં પગ ઉપાડ્યા. મંડ્યો ઝટ ભાગવા. એમાં વાંસેથી હાકલા પડ્યા : “ઊભો રે’! ઊભો રે’ !”
ભાઈ, મેં પછવાડે જોયું. ચૂંવાળિયાને દેખ્યા. મારા પ્રાણ ઊડી ગયા. હું ભાગ્યો. મારે મોઢે લોટ ઊડતો આવે, શ્વાસનો ગોટો વળતો આવે, પાઘડીના આંટા ગળામાં પડતા આવે, અને બે હાથે કાછડી ઝાલીને હું ભાગતો આવું છું; વાંસેથી “ઊભો રે’! એલા, ઊભો રે’! ઊભો !” એવા દેકારા થાતા આવે. દેકારા સાંભળતાં જ મારા ગૂડા ભાંગી પડ્યા.
સામે જોઉં ત્યાં નદીને કાંઠે ઢૂંકડું એક વેલડું છૂટેલું. કોઈક આદમી હશે ! હું દોડ્યો. પાસે પહોંચું ત્યાં તો બીજું કોઈ નહિ! એક રજપૂતાણી : ભરપૂર જુવાની : એકલી : કૂંપામાંથી ધુપેલ તેલ કાઢીને માથાની લાંબી લાંબી વેણી ઓળે.
ભફ દેતો હું એ જોગમાયાને પગે પડી ગયો. મારા
૧૫૨