છાતીએ બાર નીકળીએ.”
પછીત તોડીને અગિયાર યોદ્ધા, યજ્ઞના પુરોહિત જેવા બહાર નીકળ્યા. સુલતાને હાથીના હોદ્દા ઉપરથી હુતાશણીના ઘેરૈયા જેવા ઉલ્લાસમાં ગરકાવ અગિયાર દેદારોને દેખ્યા. “અલ્લાહ ! અલ્લાહ ! અલ્લાહ ! ઈમાનને ખાતર દુનિયાની મિટ્ટી ખંખેરીને મોતના ડાચામાં ચાલ્યા આવે છે. એની સમશેરના ઘા ઝીલશે કોણ?”
એવે ટાણે વીસળ રાબાએ કેશવગરને સવાલ કર્યો :
વિહળ પૂછે વ્રાહ્મણા, સુણ કેસવ કંધાળા,
કણ પગલે સ્રગ પામીએ, પશતક નયાળા ?
અરે, હે કેશવગર મહારાજ, હે બ્રાહ્મણ, સાંભળ. હે પુસ્તક-પોથીના નિહાળનાર જ્ઞાની, બોલ, આપણે કેવી રીતે મરીએ તો સ્વર્ગ પમાય ? એ જ્ઞાન બતાવનારું કોઈ પુસ્તક તેં નિહાળ્યું છે?
આ અંતરમાં જેને જ્ઞાનનાં અજવાળાં પ્રગટ થઈ ગયાં છે, જેની સુરતાના તાર પરમ દેવની સાથે બંધાઈ ગયા છે, વિદ્યા જેની જીભને ટેરવે રમે છે, તે કેશવગરે પોતાના કોઠાની અજાણી વાણી ઉકેલીને ઉત્તર દીધો કે હે વિહળભા ! —
કુંડે મરણ જે કરે, ગળે હેમાળાં,
કરવત કે ભેરવ કરે, શીખરાં શખરાળાં.
ત્રિયા, ત્રંબાસ, આપતળ, જે મરે હઠાળા,
તે વર દિયાં વીહળા, સ્રગ થિયે ભવાળા.
વીહળભા, કાં તો માણસ કૂંડાળે પડીને પ્રાણ છાંડે, કાં હેમાળો ગળે, કાં કાશીએ જઈ કરવત મેલાવે, કાં ગિરનારને માથે જઈ ભેરવજપ ખાય, કાં અબળા માટે, ગાય માટે કે પોતાના ગરાસ માટે જાન આપે; એટલી જાતનાં મોતમાંથી એકેય મોતના વ્રત ધારણ કરે, તેને જ આવતે ભવ અમરાપુરી મળે, હે ભાઈ વીહળ !
સાંભળીને વીસળે સમશેર ખેંચી, સમશેરની પીંછીએ કરીને ‘ખળાવા’ જમીનમાં લીટો દઈ કુંડાળું કાઢ્યું.