પૃષ્ઠ:Rasdhar4.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪
સૌરાષ્ટ્રની રસધારઃ ૪
 

પાડી દીધું? પણ હે અગ્નિદેવતા ! મારો ફેર ભાંગી નાખજો. જે હો, અમરાપરીના ઓરડામાં વીહળભા મારી મોઢા આગળ દાખલ ન થઈ જાય.”

એટલું બોલીને અગિયાર ભાઈબંધની ચિતા ઉપર તેજરવે આસન વાળ્યું. હાથમાં માળા લીધી. બળતી ઝાળની વચ્ચે બેસીને ‘હર ! હર ! હર !’ના જાપ જપતા મણકા ફેરવવા લાગ્યો. આખીયે કાયા સળગી ઊઠી ત્યાર પછી જ એના હાથમાંથી માળા પડી.

[દુહો]

 

તેજરવે તન લે, હાડાં માથે હોમિયાં,
સોયે મરણ સટે, વીસળસું વાચા બંધલ.

તેજરવે પોતાનું તન મિત્રોના હાડ ઉપર હોમ્યું. સોયા શાખના એ ચારણે પોતાના મિત્ર વીસળની સાથે મૃત્યુસટોસટના કોલ દીધા હતા.

અને અણનમ માથાંનો તે દિવસે જેજેકાર બોલાયો.

[આંબરડી પોગનો અસલ ટીંબો સાયલા તાબે હજી મોજૂદ છે. જ્યાં મૃત્યુનું ‘કુંડાળું’ કાઢવામાં આવેલું ત્યાં એક દેરી છે. ઓટા ઉપર બાર પાળિયા છે. એ યુદ્ધમાં વીસા રાબાએ હાથીના દંતશૂળ પર પગ દઈને સુલતાનના શાહજાદા મો’બતખાનને હણેલો તેની એંધાણી તરીકે ‘મહોબતખાન પીરની જગ્યા' છે. એક વાવ પણ ત્યાં દટાયેલી છે. અને લોકોક્તિ મુજબ એ વાવનું પાણી પીનારાઓ તમામ શૂરા થતા તેથી બાદશાહે જ વાવ બુરાવેલી હતી. વીસળ રાબો ચેરાસી જાતનાં વ્રત પાળતો અને શત્રુઓની તલવારની ધાર બાંધી જાણ એમ મનાય છે.

આ ઘટનાની સાક્ષી પૂરતું ‘નિશાણી’ નામે ઓળખાતું એક પ્રાચીન ઐતિહાસિક ચારણી કાવ્ય પુસ્તકને અંતે પરિશિષ્ટમાં આપ્યું છે. વાર્તામાં કેટલાંક અવતરણો પણ તેમાંથી લીધાં છે.]