વિજાણંદની વરમાળ, બીજાની બાંધું નહિ,
ચારણ હોય લખ ચાર, (એને) બાંધવ કહી બોલાવીએ.
તે દિવસે બાપને જાણ થઈ કે દીકરી તો વિજાણંદના નામની જ માળા ફેરવે છે ! બાપુએ બહુ સમજાવી. છેલ્લે જવાબ વાળી દીધો : “હવે તો, બાપુ, એ” આવે કે ન આવે. હવે અવધ પૂરી થઈ. ને હવે તો મળશું હેમાળાના ખોળામાં, નીકર આવતે અવતાર. હવે મારો મારગ રોકશો મા.”
ગામનાં માણસો હજાર-હજાર વાતો કરીને મનાવવા લાગ્યાં કે “બીન ! રોકાઈ જા, હજી એ આવશે.”
“આવી રહ્યો, બાપ ! હવે આવીને શું મોં દેખાડે ?”
કોઈ બોલ્યું: “અરે ગીગી, વાવડ કઢાવીએ.”
સાંભળી સાંભળીને શેણીએ કહ્યું :
મત્યું શું દિયો માનવી, જણ જણની જૂજવી,
ડાહ્યપ એવડી હતી, (તો) વિજાણંદ કાં વાળ્યો નહિ ?
[અરેરે માનવીઓ, હવે આવી રીતે મને દરેક જણ જુદી જુદી શિખામણો શું મોં લઈને આપો છો ? એટલું બધું ડહાપણ હતું ત્યારે વિજાણંદને તે દિવસે પાછો કાં ન વાળ્યો ?]
“અરે બાઈ ! વિજાણંદ જેવા મેલાઘેલા પર તું શું મોહી છે ? બીજા ક્યાં નથી ?”
“ભલે રહ્યા. –
ધોબી લૂગડ ધોય, રૂપાળાસે રાચું નહિ,
મર મેલડીઓ હોય, (તોય) વર વહાલો વિજાણંદો !
[ધોબીના ધોયેલ સફેદ કપડાં પહેરનાર રૂપાળા કોઈ પુરુષ ઉપર હું નથી મોહતી છતાં એ વિજાણંદ જ મને વહાલો છે અને વળી – ]
છાણાંનાં ચાટેલ, ખોરાં ઘી ખવાય નૈ,
મેયુંના મથેલ, વાલાં ઘી વિજાણંદનાં.
[હે મારાં સલાહકાર માનવીઓ, બકરાંનાં ચાટેલાં એવાં બગડેલ ઘી મારાથી નહિ ખાઈ શકાય. મને તો વહાલાં છે વિજાણંદે ભેંસોનાં મહીમંથન કરીને ઉતારેલ શુદ્ધ ઘી. (વ્યંગ્યાર્થ એ છે કે અન્ય ચારણોનો મલિન સ્નેહ મારે ન જોઈએ.)]