પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દેહના ચૂરા
135
 

સાંભળીને મનમાં કુંવર બોલી :

સારણગાંઠ્યું, સગા, કાળજની કળાય નૈ,
(એનાં) ઓસડ અલબેલા, રાણાની આગળ રિયાં.

[હે મારા નાદાન સ્વામી (સગા), એ સારણગાંઠો તો કાળજાની અંદર થઈ છે. તને એ નહિ દેખાય, અને એની દવા પણ કોઈ પાસે નથી. એ ઓસડ તો અલબેલા રાણાની પાસે જ રહ્યું.]

પ્રગટપણે તો કાંઈ ન બોલી શકાયું એટલે ઊંટવૈદો હતા તેણે ભેળા થઈને મત બાંધ્યો કે “દ્યો વહુના પેટ ઉપર ડામ !”

અગ્નિમાં લોઢાના સળિયા ધગાવીને લાલચોળ કરવામાં આવ્યા. પછી વહુના હાથપગ દાબી રાખી. એના પેટ ઉપર સળિયા ચાંપવામાં આવ્યા. ચંપાવરણું સ્વરૂપ કાળું કદરૂ૫ બની ગયું. ડામ પાક્યા, તેમાંથી રસી વહેવા લાગી, કુંવરની કાયા હાડપિંજર જેવી થતી ગઈ.

સાણાનો વસવાટ વસમો થઈ જવાથી રાણાએ મધ્યગીરમાં ભેંસોને હાંકીને કુંવરથી જેટલું બને તેટલું અંતર પાડી નાખવા માટે મજલ આદરી દીધી. અંતે એણે ચાચઈના ડુંગર ઉપર જડીને આશરો લીધો.

ભાતભાતની વનસ્પતિનાં મૂળિયાં વાટે થઈને વહ્યાં જતાં ગીરનાં પાણી પી-પીને રાણાને શરીરે ‘ગર લાગી’ એટલે કે ગીરનાં હવા-પાણીથી હાથપગ ગળતા ગયા ને પેટ ફુલાતું ચાલ્યું. હાલી ચાલી શકાતું નથી. પોતાની ભેંસને શરીરે ઓથ લઈને એ રોગી પડ્યો રહે છે. એવે એક દિવસ એક કાગડો ઊંચે ઝાડની ડાળી ઉપર બેસીને, જાણે કોઈક કાસદિયો આવ્યો હોય તેવી રીતે કા ! કા ! કરવા લાગ્યો. ભાનભૂલ્યા પ્રેમીએ માન્યું કે કાગડો કુંવરનો મોકલ્યો આવ્યો હશે !

ક્યાંથી આવ્યો કાગ, વનરાવન વીંધે કરે,
કે’ને કેડાક પાર, કિયે આરે કુંવર ઊતરી ?

[હે કાગડા, તું આ વન વીંધીને ક્યાંથી આવે છે ? તે કુંવરને ક્યાંય દીઠી ? કઈ નદીને આરે કુંવર જઈને ઊતરી છે, હે કાગારાણા ? મારી કુંવરને તું પિછાને છે ?]