સાત દિવસમાંથી એક દિવસ વીત્યો... બીજો દિવસ ઊગીને આથમ્યો... ત્રીજા દિવસની ઝડ લાગી... તેમ તેમ તો રાવ કલ્યાણમલજીની નજર ખેંચાતી જાય છે કે જે પાંચસો સાથી સોનાની મૂઠે તરવાર લઈને પોતાની ચોગમ વીરાસને ઝૂકતા હતા તેમાંથી રોજરોજ થોડા થોડા સરકીને ઘરભેળા થવા લાગ્યા છે. કાળના મોઢામાં ઓરવા માટે જે રાખી મૂકેલા તે જ જોદ્ધાઓ આમ ઓછા થાય છે, તેથી રાવને તો કંઈયે વહેમ નથી આવતો. 'કંઈક કામે જતા હશે,' 'કંઈક મારા રક્ષણનો ઉપાય વિચારવા જતા હશે', એવો અર્થ કરીને રાવ મન વાળે છે.
પણ એમ જોતાં જોતાં ઓગણત્રીસમા દિવસનું પ્રભાત પડ્યું અને આભને આરે કાળના કાફલા નાંગરતા હોય તેવાં વાદળાંની આવ-જા મંડાઈ ગઈ. એક પહોર.. બે પહોર... અને ત્રીજે પહોરે તો દોવળા ને ચોવળા થર બાંધીને વાદળાંએ આભમાં ટપોટપ જમાવટ કરી દીધી. કાળનાં ડમરું બાજતાં હોય તેવી ધણેણાટી એ ઘઘૂંબેલા ગગનમાંથી ઊઠવા લાગી. પ્રલયનાં નગારાં માથે કાળભેરવો વજની ડાંડી વડે ધોંસા દેવા લાગ્યા. કોઈ મંત્ર જાણનારે મંત્ર છાંટીને મોતની સેનાને જગાડી મૂકી છે.
કલ્યાણમલજીના હાથમાં હોકાની નળી રહી ગઈ છે, અને એને વીંટીને હવે એકસો જ સાથી બેઠા છે. એમાંથી તો એક પણ ઓછો થવાની બીક નથી. પણ જેમ જેમ તોફાનનાં મંડાણ જામતાં ગયાં, અને આભનાં ગડેડાટથી જોધપરિયો ડુંગર ગુંજવા લાગ્યો, તેમ તેમ કલ્યાણમલે દીઠું કે પોતાની હજૂરમાંથી એક પછી એક સાથી નોખનોખાં બહાના બતાવી લપાતો લપાતો સરતો જાય છે. એમ થાતાં થાતાં બપોરટાણું થયું ત્યાં તો પાંચસોમાંથી ચારસો-પંચાણું ફટકિયાં મોતી વિણાઈ વિણાઈને બહાર નીકળી પડ્યા, અને બાકી રહ્યા એંશી-એંશી વરસના પાંચ બુઢ્ઢાઓ. એ પાંચ ડોસા કઠણ છાતી ફરીને રહ્યા તો ખરા, પણ રાવ કલ્યાણમલથી, આઘેરા જઈને ભોંયરાના છેટા ખૂણામાં લપાતા બેઠા : પોતાના અન્નદાતાની પાસે બેસવાથી તો એને પણ વીજળી પડવાની બીક હતી !
‘દુનિયા ! વાહ દુનિયા ! વાહ દુનિયા !' એવા ત્રણ નિશ્વાસ રાવના હૈયામાંથી નીકળી પDયા. મરક - મરક - મરક મુખ મલકાવીને રાજા