મંદોદરખાન અડવાણા પગે પાછા ચાલ્યા આવે છે. રાંગમાં રોઝડી નથી, કાખમાં તરવાર નથી. ગામલોકોએ દોડીને પૂછ્યું : “કાં, બાપુ ?”
“માળો લોંઠકો આદમી ! મને જીતવા ન દીધો, ને તરવાર ને ઘોડી બેઉ લઈ ગયો !”
“અરે, રાખો રે રાખો, બાપુ !” વસ્તીએ ખિજાઈને કહ્યું : “ફણિધરને માથેથી મણિ લઈ જાય તો જ મંદોદરખાનની રાંગમાંથી રોઝડી લેવાય. ઠાલા મૂરખ શું બનાવો છો અમને ? સાત ખોટનો એક દીકરો – એના મારાને ઊલટો ભગવ્યો ?"
"લ્યો, હવે જાતી કરો.” દરબારે શાંતિથી જવાબ વાળ્યો.
“જાતી શું કરે ! એને પાતાળમાંથી પણ ગોતી કાઢશું.”
“ભાઈ !” મંદોદરખાન બોલ્યા: “તમે તે કાંઈ દીવાના થયા ? એણે શું મારા દીકરાને જાણીબૂજીને માર્યો’તો ? એને ઘેર એવા કેટલા દીકરા ભૂખે મરે છે, જાણો છો ? કોડભર્યો એ મારે ઉંબરે આવ્યો. અને દૈવગતિએ દીકરો મર્યો એ તો ખુદાતાલાની મરજી ! આપણા કિસ્મતમાં નહિ હોય એટલે ખડી ગયો. પણ એટલા સારુ હું આજ ઊજળે દિવસે મારા સીમાડા માથે સામી હત્યા વહોરું ? હાલો, બેટાની મૈયત કાઢીએ.”
હસતે મુખે બાપે દીકરાને દફનાવ્યો.
🐦🙕❀🐦🙕❀🐦