“ગરાસિયાના પેટનો છો ?” દરબારે કહ્યું: “મેં નો’તો ચેતવ્યો ?”
“માળો... આયરડો ત્રણ તાડ જેવડો થાય છે ! કાઠામાં સમાતો નથી !” ભાની જીભના લોચા વળવા લાગ્યા.
“તે ન થાય ? અમથો હું હાલ્યો આવ્યો હોઈશ ? જાવ, મને મોઢું દેખાડશો મા.”
શામળો ભા પાટીએ ચડી ગયા. તે દિવસથી એવા તો અબોલા રહ્યા કે પ્રતાપસંગજીના મૉતને ટાણે પણ એનાથી અવાયું નહોતું.
❀
પતંગિયા જેવો ભીમો ફગ લઈને સીમાડેથી પાછો વળ્યો. વાંસે ધણ ચાલ્યું આવે છે. ગામલોકોએ એને આવતો ભાળ્યો અને લલકાર કર્યો : “રંગ ભીમા ! રંગ ગરણિયા !”
“અરે બા, મને રંગ શેના ?” ભીમે કંઈયે પોરસ વગર જવાબ વાળ્યો : “એ તો ભાવનગરના બાદશાહનું નસીબ જબ્બર છે. અને બાકી તો. આયર-કાઠીનું કામ છે કે વારે ચડવું.”
ભાવનગરના દરબારગઢની મેડીએ કનૈયાલાલ વજેસંગ મહારાજ કિચડૂક... કિચડૂક.. હીંડોળાખાટે હીંચકે છે. સામે દીવાન પરમાણંદદાસ અને મેરુભાઈ બેઠા છે. સાતપડેથી બીડો આવ્યો છે અને ફરી ફરી વાંચી વાંચીને મહારાજ બોલે છે :
“પરમાણંદદાસ, આયરે માળે અખિયાત કરી, હો ! એને અહીં તેડાવીએ. મારે એને જોવો છે.”
“ભલે, મહારાજ; અસવાર મોકલીએ.”
એમ વાત થાય છે, ત્યાં બીજો અસવાર આવીને ઊભો રહ્યો.
“એલા, ક્યાંનો બીડો ?”
“બાપુ સાતપડાનો.”
“ઉઘાડો, ઝટ ઉઘાડો, પરમાણંદદાસ !”
પરમાણંદદાસ વાંચે છે તે મહારાજ સાંભળે છે : લખ્યું હતું કે – ભીમા ગરણિયાએ બીજી વાર મહારાજને રૂડા દેખાડ્યા છે. દોઢસો