ધૂંધળીનાથ અને સિદ્ધનાથ
પૂજાશે. મારો આશીર્વાદ છે. તમારી ચલમ, સાફી[૧] એને આપો."
જોગંદરનાથ બધા ભેળા થાય ત્યારે એક સાફીએ ચલમ પીએ, બીજાને ચલમ આપે.પણ સાફી ન આપે. ધૂંધળીનાથને ચલમ આપી. સાફી આપતાં નવે સિદ્ધો કચવાણા. ગુરુદેવે કારણ પૂછયું. નવ નાથોએ ખુલાસે કર્યો " ગુરુદેવ, ધૂંધો નાથ ખરો, પણ એનું દૂધ હલકું છે; એ દૂધ કોક દી એને હાથે કોક કાળો કામો કરાવશે. એટલે ધૂંધળીનાથજી હજી વધારે તપ કરે, વધારે શુદ્ધિ કરે, પછી અમે સાફી આપીએ."
અને ગુરુ દત્તનો બોલ પડ્યો કે "ધૂંધળીનાથ ! બાર વરસ બીજા : આબુમાં જઈ ધૂણી પ્રગટો ! જાવ બાપ ! ચોરાસી સિદ્ધની પંગતમાં તમારી વાટ જોવાશે."
આબુની અવધિ પણ પૂરી થઈ અને તપ કરી ધૂંધળીનાથ પાછા ગુરુ પાસે આવ્યા. ફરી ગુરુએ નવ નાથને હાજર કર્યા. અને બધાએ સાથે મળી એક સાફીએ ચલમ પીધી. પણ નવે નાથ અંદરોઅંદર કહેવા લાગ્યા કે : " આનાથી તપ જીરવાશે નહિ એ હલકું દૂધ છે; કોક દી ને કોક દી એ ન કરવાનો કામો કરી બેસશે."
તેજની જીવતજ્યોત જેવા ધૂંધળીનાથ જગતમાં ઘૂમવા લાગ્યા. ઘૂમતાં ઘૂમતાં અરવલ્લીને ડુંગરે ચિતોડગઢમાં એનું આવવું થયું.
ચિતોડના રાણાએ ગુરુને ઝાઝાં માન દીધાં. ગુરુનાં ચરણુંમાં પડીને રાણો રાતે પાણીએ રોયો. રાણાના અભરભર્યા રાજમાં સવાશેર માટીની ખોટ હતી. મરણ ટાણે
બાપની આગ લઈને મોઢા આગળ હાલનારો દીકરો નહોતો.
- ↑ ગાંજો પીવા માટે ચલમની સાથે લૂગડાનો ટુકડો , રાખવામા આવે તેને ' સાફી ' કહે છે