પૃષ્ઠ:Rasdhar 2 - A.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩

ધૂંધળીનાથ અને સિદ્ધનાથ

“અધર્મ નહિ કર્ય ને ?”

“મા-જણી બોન માનીશ?”

“શાલિવાહન સાથે વેર પાલવશે ?”

“રે ગુરુદેવ ! હું નાગાજણ : હું જેઠવો : ઝૂઝી જાણું છું.”

પછી તે સિદ્ધનાથે તપોબળ છોડયાં. મુંગીપુરને મહેલેથી સતી સોનરાણીને પલંગ રાતમાં ઢાંકને ગઢે ઊતર્યો. સતી જાગી, જોગી આઘેરો ઊભે રહ્યો. નાગાજણે હાથ જોડ્યા : “બેન, મને તારો મા-જણ્યો ભાઈ માનજે. અધરમ કાજે નથી આણી તને. મારી ઢાંક સોનાની કરવી છે, તું જોગમાયાને હાથે જરા પોતું ફેરવાવવું છે. મારે કોટકાંગરે તારા હાથ ફેરવ, બાપ !”

રોજ બેાલાવે. રોજ ઓળીપો કરાવે. પાછી પહોંચાડે.

છેલ્લે દિવસે નાગાજણ હાથ જોડીને ઊભો રહ્યો : “ બેન, કંઈક કાપડાની કેાર માગી લે.”

“ટાણે માગીશ, ભાઈ !”

કહીને રાણી ચાલી ગઈ આખી વાત રાજા શાલિવાહનને કહી. રાજા રૂઠયો. રૂઠેલ રાજાએ સોરઠની ભોમ ઉપર સેન હાંકયાં. કેાઈ કહે કે એ તો શાલિવાહન : એટલે કે શાળને દાણે દાણે એકેક ઘોડેસવાર ઊઠે એવો મંત્ર જાણનારો. કોથળા ને કોથળા શાળ ભરીને રાજા નાગાજણને દંડવા હાલ્યા આવે છે.

આંહીં તો ઢાંક લંકા જેવા ઝગારા કરે છે. છત્રીસ છત્રીસ તો એના કનકકોટ શોભે છે, ગુરુ સિદ્ધનાથ એ અક્કેક કોઠા ઉપર નાગાજણને લઈને ચડતો ગયે. ચડીચડીને એણે આગમ ભાખ્યાં, જુગજુગની ભવિષ્યવાણી કાઢી. ક્યારે શું શું બનશે, જેઠવા કુળની કેવી ચડતીપડતી થાશે