પૃષ્ઠ:Rasdhar 2 - A.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

રા' નવઘણ

"લે આયરાણી, તારી છાતીને માથે બે ધાવે છે એમાં આ ત્રીજાનો મારગ કર." એમ બોલતો આલિદર ગામનો આહીર દેવાયત બોદડ પોતાને ઓરડે દાખલ થયેા અને અક્કેક થાનેલે અક્કેક બાળકને ધવરાવતી બોદડની ઘરવાળીએ પોતાની છાતી ઉપર છેડો ઢાંકયો. ધણીના હાથમાં પાંભરીએ વીંટેલ નવા બાળકને એ નીરખી રહી. પોતાના હૈયા ઉપર પારકાને ધવરાવવાનું કહેતાં સાંભળીને એને અચંબો થયો. એણે પૂછયું : " કોણ આ ?"

આયર ઢૂંકડો આવ્યો. નાક ઉપર આંગળી મૂકીને કાનમાં કહ્યું : " મોદળનો રા' – જૂનાણાનો ધણી."

" આંહી કયાંથી ? "

" એ... જૂનાગઢનો રાજપલટો થયો. ગુજરાતમાંથી સેાળંકીનાં કટક ઊતર્યાં, ને તે દી સેાળંકીની રાણિયું જાત્રાએ આવેલી, તેને દાણ લીધા વિના રા' ડિયાસે દામેકંડ નાવા નો'તી દીધી ખરી ને, અપમાન કરીને પાછી કાઢી'તી ને, તેનું વેર વાળ્યું આજ ગુજરાતના સોળંકીએાએ. રાજા દુર્લભસેનનાં દળકટકે વાણિયાના વેશ કાઢીને જાત્રાળુના સંઘ તરીકે ઉપરકોટ હાથ કરી લીધો. પછી રા'ને રસાલા સોતો જમવા નોતર્યો, હથિયાર પડિયાર ડેલીએ મેલાવી દીધાં. પછે પંગતમાં જમવા બેસાડીને દગાથી કતલ કર્યો.

વણથળી અને જૂનોગઢ બેય જીતી લીધાં."

૧૮