પૃષ્ઠ:Rasdhar 2 - B.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૧

એક તેતરને કારણે


સંવત ૧૪૭૪ની અંદર પારકરમાં કાળો દુકાળ પડ્યો. તાવડામાં જેમ ધાણી ફૂટે, તેમ માલધારીઓના ઢોર ટપોટપ મરવા માંડયાં. બે હજાર સોઢાઓ પોતાનાં ઢોર લઈ ને દુકાળ વર્તવા સોરઠમાં ચાલી નીકળવા જ્યારે તૈયાર થયા ત્યારે ચારે ભાઈઓને ચિંતા થઈ કે પારકા મુલકમાં આપણી વસ્તીની રક્ષા કોણ કરશે ? માટે આખોજી બોલ્યા : “ભાઈ લખધીર! તું ને મૂંજોજી સાથે જાઓ, હું ને આસો અાંહી રહીશું.” લખધીરજી ને મૂંજોજી પોતપોતાની હાંસલી ઘોડી ઉપર પલાણી તૈયાર ઊભા, ત્યારે મા જોમબાઈ બોલ્યાં : “બાપ, આપણી વસ્તીને પરદેશમાં મા કયાંથી મળશે ? માટે હુંય સાથે ચાલીશ.”

માતાજી રથમાં બેઠાં, અને બે હજાર સોઢાઓ એના રથને વીંટી લઈને પોતપોતાનાં ઢોર હાંકતા હાંકતા, રસ્તે ચારતા ચારતા દડમજલ મુકામ કરતા ચાલી નીકળ્યા.

પણ લખધીરજીને તો નીમ હતું કે રોજ ઈષ્ટદેવ ગોડી પારસનાથનાં દર્શન કર્યા પછી જ અન્નપાણી ખપે. આ દેવતાની પ્રતિમા પારકરના પીલુ ગામમાં હતી. રોજ રોજ પ્રભાતે જ્યાં મેલણ પડયું હોય ત્યાંથી લખધીરજી પોતાની હાંસલી ઘોડી પાછી ફેંટીને પીલું જઈ પહોંચે, દેવનાં દર્શન કરે, ત્યાર પછી અનાજ આરોગે. એ રીતે તો જેમ જેમ પલ્લો લાંબો થતો ગયો, તેમ તેમ પીલુ પહોંચવામાં મોડું થવા માંડયું. એક પહોર, બે પહોર, ચાર પહોર, ને પછી તે બબ્બે દિવસના કડાકા થવા લાગ્યા. પછી એક રાતે લખધીરજીના સ્વપ્નમાં ઈષ્ટદેવ આવ્યા ને બોલ્યા : ' બેટા, કાલ પ્રાગડના દોરા ફૂટતાં જ તને ગાયનું એક ઘણ મળશે. એમાંથી એક કુંવારી કાળી ગાય મોખરે ચાલતી હશે. એ ગાય પોતાનો મોયલો પગ ઊંંચો કરીને તારા સામે જોઈ જમીન ખોતરશે. ખોતરેલી જમીનમાં ખોદશે, તો તને એક