પૃષ્ઠ:Rasdhar 2 - D.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધા૨ : ૨

૧૬૬

એણે ઘોડી મંગાવી. કાળુજી ઘોડીના પગ ઊંચા કરીને જુએ ત્યાં ડાબલામાં નાગફણીઓ[૧] જડેલી દેખી, ઘેાડી બદલાવી. બસો મકરાણીઓ સીમાડા સુધી મૂકી ગયા. પછી કાળુજી છૂટો થઈને ભાગ્યો, કારણ કે વાંસે જૂનાગઢની વાર ચડી ચૂકી હતી.

નાસતો નાસતો કાળુજી ગોંડળનો આશરો લેવા આવ્યો. ગોંડળમાં તે વખતે ભા' કુંભાજીને પહોર ચાલતો હતો.

એવા મરદ કુંભાજીએ પણ જૂનાગઢનાં બહારવટિયાને ન સંઘર્યો. ત્યાંથી ભાગીને કાળુજીની ઘોડી મેડાનાર નદી ટપીને ઓખામંડળના પોહિત્રા ગામમાં પહોંચી. એાખાના વાઘેરોએ એને આશરો દીધો.

પાછળ જૂનાગઢ, ગોંડળ અને નગર, ત્રણે રાજની વહાર ચડી. પાહિત્રાની બહાર પડાવ નાખીને દુશ્મનોએ ગઢ સુધી સુરંગે ખોદાવી. સુરંગનો અગ્નિ જ્યારે નજીક આવવા લાગ્યો ત્યારે ગઢના કોઠામાં મૂકેલ થાળીમાં મગના દાણા થરથરવા લાવ્યા. કાળુજી સમજ્યો કે ધરતી હમણાં ફાટશે. એણે પોતાનાં તમામ કુટુંબીએાને નાઠાબારીમાંથી રવાના કર્યા , પણ એનો શુરવીર પુત્ર વેજો બાપની વસમી વેળાએ વેગળેા થાય ખરો કે ? એણે તો બાપની સાથે રહીને જ મરવાનો પોતાનો વિચાર પ્રગટ કર્યો. એને આમ મરતા અટકાવવા કાળુજીએ કહ્યું : “હું તો જગતમાં નામ રાખીને મરું છું, પણ બેટા, નાહક તું કાં ગુડા ? ભીંત હેઠે કચરાઈ મરવામાં કાંઈ કીરત છે? મારું સાચું ફરજંદ હો તો બાપથી સવાયું નામ કાઢીને મરજે ને ?”

આથી વીર વેજો પણ ચાલ્યો ગયો. કાળુજીએ વિચાર્યું : 'વાહ ભાઈ! આવી જાન ફરી કયારે જોડાવાની હતી ? આજ મરવાની પણ મજા છે.'

ઘીના કુંડલામાં બેસીને આગ લગાડી પોતે બળી મૂઓ.


  1. ખીલો