પૃષ્ઠ:Rasdhar 2 - D.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૩

ચારણની ખેાળાધરી

પછાડવા લાગ્યો. પણ રાણાએ જવાબ દીધો નહિ.

“લે, આ તારો રાણો !” એવો એક અવાજ આવ્યો. અને તે સાથે જ ઝરૂખામાંથી ધબ દઈને એક ગાંસડી ધરતી ઉપર પડી. એ લોહીતરબોળ ગાંસડીને ચારણે છોડી. અંદર જુએ તે રાણા રામદેવજીના કટકા ! હાથ નોખા, પગ નોખા ધડ નોખું અને જાણે મામીઓનાં મીઠડાં લેવરાવવા હસીને હમણાં જ નમ્યું હોય તેવું તાજુ કાપેલું માથું પણ નોખું.

“બસ, મારા બાપ! કયાંય રેઢો નહોતો મેલતો ! અને આજ જંગલ ગયો તેટલી વાર રહી ન શકયો ? મામીનાં તેડાં બહુ મીઠાં લાગ્યાં ? એય મારી અણમોલી થાપણ ! પોરબંદરની રાણીને હવે હું શો જવાબ આપીશ ?”

ચારણ ખૂબ રોયો. દરબારગઢ આખો જાણે એની સાથે સાદ પુરાવવા લાગ્યો.

આ ચારણનું નામ કાંવીદાસ લાંગો. જામ સતાજીનો એ દસેાંદી. પોરબંદરના રાજા જેઠવાનો પુત્ર રામદેવજી, સતાજીનો સગો ભાણેજ હતો. સતાજીને નગરનું રાજ વિસ્તારવું હતું. નાના ભાણેજને એટલા ખાતર ટૂંકો કરવેા હતો. ઘણું ઘણી વાર તેડાવે પણ ભાણેજ આવે નહિ, કેમ કે બહેનને ભાઈની મતલબના પડઘા આવી ગયા હતા. આખરે કાંવીદાસને જામે કહ્યું : “આપણે આંગણે લગન છે. ભાણેજ ન આવે તો દુનિયા શું કહેશે ? ગઢવી, જાઓ, તમારી ખોળાધરી દઈને બહેનના ભાણિયાને તેડી આવો.”

ચારણની ખોળાધરી એટલે વિધાતાનો લેખ : પોરબંદરની રાણીએ છોકરાને મીઠડાં લઈને ભાઈને ઘેર લગ્ન ઉપર વળાવ્યેા. મામાએ લગ્નમાં ભાણેજને લોહીથી નવડાવ્યો.

ચારણ ઘેર ગયો. એકનો એક દીકરો જમલદાસ હતો તેને કહ્યું:“બાપ ! આપણા ધણીને આજ ભાણેજનાં લોહીની તરસ