પૃષ્ઠ:Rasdhar 3 A.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૩

૩૪

છે. આવીને એણે તો કહ્યું : “લ્યો, ભાઈ, હવે સુખેથી કામ પતાવી લ્યો.”

“પીઠાશ ! વિશ્વાસઘાતી ! આ પછવાડે કોણ ?” હમીર બોલ્યો.

ત્યાં તો ચારણી લગોલગ આવી પહોંચી. પીઠાશે પછવાડે જોયું. દંગ થઈને બોલી ઊઠ્યો :

"ચારણ્ય, આ શું સૂઝયું ?”

ચારણી મરક મરક મુખડે બોલી : “ચારણ, આનું નામ કાંઈ વેર કહેવાય ? સાંભરે છે, ચારણ ? તું એના બાપાને મારવા ગ્યો ત્યારે ભેળાં ત્રણ-ત્રણ ઘોડાં હતાં; અને ફુઈએ તને ભાગવા દીધો તે. ને આંહી ! આ બાપડા તારો પ્રાણ લઈને કેટલેક ભાગશે ? હમણાં ખબર પડતાં જ રાણાની સાંઢ્યું છૂટશે. દુશ્મનને આમ કમોતે મરવા નથી દેવા. તને ભાગવાને સમો મળ્યો હતો તેમ એમનેય મળવો જોઈએ; માટે આ બે ઘોડાં આણ્યાં છે. લ્યો બાપ, કામ પતાવીને ચડી જાએા. વીજળી જેવી ચિતોડની સાંઢ્યુંનેય આ ઘોડા નહિ આંબવા દે.”

પીઠાશ, હમીર અને નાગાજણ : ત્રણે પથ્થરનાં પૂતળાં જેવા સજ્જડ બની ગયા. બોલવાની શક્તિ ન રહી. શું બેાલે ? આવી જોગમાયાની પાસે શું બોલે ? અધરાતનાં ચાંદરડાંનાં અજવાળાં ચારણીના મુખને પખાળી રહ્યાં છે. સદેહ સ્વર્ગમાં વિચરવાની જાણે કે એને વેળા થઈ છે.

બેય જણ કટાર મૂકીને ચારણીનાં ચરણમાં પડી ગયા. પીઠાશને બાથમાં ઘાલીને છાતીએ ભીંસ્યો.