હજાર વર્ષ પૂર્વે
રણ રિયા મ રોય, રોને રણ છાંડે ગિયાં,
મુવે જ મંગળ હોય, રણ મચિયાં રાખાશનાં.
હે મરનારના સ્નેહીજન, તારાં જે વહાલાં રણમાં રહ્યાં (મર્યા) તેને માટે કલ્પાંત મા કર. કલ્પાંત તો રણ છોડી નાસનારને માટે હોય. રણમાં મરનારનાં તો અપ્સરાની સાથે મંગળ લગ્ન થાય છે; એમાં રોવાનું હોય ? રાખાઈશે પણ એવા જ રણસંગ્રામ મચાવ્યા.
કોઈ સ્વજન, રાખાઈશની કોઈ પ્રિયતમા, સ્મશાનમાં આવે છે. રાખાઈશને દહન દીધું છે ત્યાં આવીને રાખ તપાસે છે :
રાખાઈશની રાખ, દાઝી તેાય ડાકર કરે,
ઉપર મેલું હાથ, (ત્યાં) ભણે મુંહીં ભેળી થઈ.
આ સળગી ગયેલા શરીરની રાખ પણ અવાજ કરે છે, ને હું હાથ મૂકું છું, ત્યાં તુરત જ ભેળી થઈને મને ભેટે છે.
આટકોટ આગળ 'લાખા ગરદી' નામની પ્રસિદ્ધ જગ્યા છે. ને ત્યાં એક હજાર ખાંભીઓ દટાયેલી હોવાનું કહેવાય છે.
[ચારણો આમાં એક નવીન જ દંતકથા મૂકે છે કે એક વખત આટકોટના કેટલાક વેપારીઓ જાવા દેશમાં જતા હતા. તેઓએ લાખા પાસે આવીને અરજ કરી કે, 'બાપુ, આપના તરફથી કોઈ રક્ષકને અમારી સાથે મોકલો.' લાખાને જોષીઓએ કહ્યું હતું કે, અઢાર વરસની ઉંમરે ભાણેજ રાખાઈશ તારો નાશ કરાવશે. લાખાએ રાખાઈશને પતાવવાની પેરવી કરી. મધદરિયે રાખાઈશને ડુબાવી દેવાની વેપારીઓને આજ્ઞા કરી ભાણેજને સાથે મોકલ્યો. દૂર દૂર દરિયામાં એક કાળો પહાડ આવ્યો. વહાણ પહાડની પાસે ઘસડાઈ ગયું. ત્યાં દરિયાઈ વેલા હતા તેમાં વહાણ અટવાઈ ગયું, ખારવાઓએ કહ્યું: 'પહાડ પર જઈને કોઈ જો ત્યાં પડેલા એક પ્રચંડ નગારા ઉપર ડાંડીનો ઘા મારે તો એના અવાજથી ત્યાં બેઠેલાં પ્રચંડ પંખીએા