કાઠિયાણીની કટારી
કાઢીને કાઠિયાણી ગાડાખેડુને ટૌકા કરતી હતી કે, “ભાઈ ! હાંક્યે રાખ્ય, મારા વીર ! ઝટ વાળુ ટાણે પોગી જાયેં.”
કાઠિયાણીને આજ રાતે પહોંચીને એના રંગભીના કંથની પથારી કરવાના કોડ હતા.
રણવગડામાં એકલી એકલી નાચ કરતી અપ્સરા જેવી એ રાતી ચોળ વેલડી પાંચાળના સીમાડા વળેાટીને જે વખતે ગોહિલવાડના મુલકમાં દાખલ થઈ, તે વખતે સંધ્યાકાળના હૈયામાં જાણે કોઈએ કટારી હુલાવી હોય તેમ રાતા લોહીની શેડ્યો વછૂટતી હતી. વટેમાર્ગુઓના લાંબા લાંબા પડછાયા માથાં વગરના ખવીસ જેવા વાંસે દોડતા હોય તેવા લાગતા હતા. લોહિયાળું મોઢું લઈને સૂરજ મહારાજ ડુંગરની પછવાડે કોઈ દરિયામાં નાહવા ઊતરતા હતા.
કેડાને કાંઠે એક ખેતર હતું. તેમાં એક આદમી ભેંસો ચારે છે. વેલડું જોતાં જ એ આદમીએ પોતાની ભેંસો રેઢી મૂકીને દોટ દીધી, પણ રીડ ન પાડી. હાંફતો હાંફતો એ વેલડાને અાંબ્યો અને ધીરે સાદે અસવારોને પૂછવા મંડ્યો : “જુવાન્યો ! કિયા ગામની વેલ્ય છે ?”
“ રાજપરાની.” વાળાવિયે કહ્યું.
“ કીસેંથી આવતા સો, બાપ ?”
“ પાંચાળમાં ભાડલેથી.”
“ વેલડામાં કમણ બીઠું સે ?”
“ આઈ સજુબાઈ : રાજપરા-હાથિયા ધાધલનાં ઘરવાળાં : દેવાત ખાચરનાં દીકરી.”[૧]
“જુવાન્યો ! ભૂંડો કામો કર્યો. આ મોતને મારગ
- ↑ * કેટલાક એમ કહે છે કે કાઠિયાણીનું પિયર રાણપુર પાસેના વાવડી ગામમાં હતું. એ કોઈ ધાધલનાં દીકરી હતાં. કરિયાણાના કોઈ ખાચરમાં એમનું સાસરું હતું. અને આ બનાવ વાવડીથી કરિયાણે જતાં રસ્તામાં બનેલો.