પૃષ્ઠ:Rasdhar 3 C.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની ૨સધા૨: ૩

૨૨૪


જેઠા મોવડે કાગળ, લખ્યા, સતીએ દીધાં માન,
ભાવ રાખીને સત તમે ભાખજો, સતીએ લખાવ્યાં ઠામોઠામ,

રાણેશ્વર જાયેં જાયેં.

મોવડે મનમાં ધાર્યું , કમળપૂજા લેવાને કાજ,
સતી થાવ ને સાબદાં, ખડગ ખાંડું લીધું સાથ,

રાણેશ્વર જાયેં જાયેં.

જેઠો મોવડ કહે સતી તમે જાણજો, હું તો પૂછું પરણામ,
તમે અબળા કહેવાવ, આપણે ખેલવું ખાંડાની ધાર,

રાણેશ્વર જાયેં જાયેં.

અરે સ્વામી તમે શું બોલ્યા, પળ ચોઘડિયાં જાય,
સ્વામીની મોર્ય શીશ વધેરશું, ધન્ય ધન્ય મારાં ભાગ્ય,

રાણેશ્વર જાયેં જાયેં.

શંકર કહે હું કૈલાસમાં હતો, જેઠા મોવડની પડી જાણ,
જલદી રથ જોડાવિયા, તરત મેલ્યાં વેમાન રે,

રાણેશ્વર જાયેં જાયેં.

એકાદશીનું વ્રત્ પાળતાં, નર ને નારી એકધ્યાન,
તેત્રીશ કોટિ દેવ જોવા મળ્યા, ડોલવા લાગ્યાં સિંહાસન,

રાણેશ્વર જાયેં જાયેં.

દેવળમાં જઈ સતીએ દીવડા ઝગાવ્યા, અગરબત્તીનો નહિ પાર,
કમળ કસ્તૂરી કેવડો બે'કે બે'કે ફૂલડાં ગુલાબ,

રાણેશ્વર જાયેં જાયેં.

રેણુકા નદીમાં સ્નાન કરીને, કોરાં પાલવડાં પહેરાય,
પોતપોતાને હાથે શિર વધેર્યાં, અમર રાખ્યાં છે નામ,

રાણેશ્વર જાયેં જાયેં.

શંકર કહે સતિયાં તમે માગો, તમે સાચાં હરિનાં દાસ,
પૂતરનાં ઘેર પારણાં બંધાવું, આપું ગરથના ભંડાર,

રાણેશ્વર જાયેં જાયેં.