એમ સુણી શ્રી ગુરુએ કહ્યું સાંભળ કહૂં કારણ, તાત!
જે અંશ જેહના હોય તે, તેને ભજે શ્રુતિ ખ્યાત. ૭
જે જેહનું તેહને તે મળે, તવ થાય ચિત્તનિરોધ;
જ્યમ દયાપ્રીતમ કૃષ્ણ સેવે ભગવદી વણ બોધ. ૮
પદ ૨૪ મું
વત્સ કદા મહિષી નવ ધાવેજી, ધેનુ મહિષ ન આવેજી;
ગુણ અવગુણનું કશું ન કામજી, ચિત્ત જેહનું જ્યાંહ ત્યાંહજ વિરામજી. ૧
ભૂલું પડિયું બાળક રોયજી, મુખ અધમોત્તમ સહુનાં જોયજી;
તદપિ ન ભટકણ ભાગે મનનીજી, સદ્ય શાન્તતા મળતાં જનનીજી. ૨
ઢાળ
જ્યમ જનનિ મળતાં જંપ તત્ક્ષણ, અવર રહે નહિ આશ;
પછી બોધ તેહને ન કરવો, પામ્યા પૂરણ અભિલાશ. ૩
સઘળે નમે પંચપિરિયા, જીવ આસુરી કહેવાય;
ઉપજતાં માયામાં મળ્યા, કેમ એક ઠોર ઠરાય. ૪
એકદા શ્રીમદ્ પુરુષોત્તમ ઇચ્છા ઉપનિ એહવી;
વિસ્તાર જગમાં થાય જશનો, કૃતિ કરવી તેહવી. ૫
એમ ધારી ભૃકુટિ ભંગથી, ઉપજાવી સૃષ્ટિ સાર;
બ્રહ્માંડ ભવ્ય વિચિત્ર નાના, લોક દશ ને ચાર, ૬