પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૪
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



વશ થઈ બંને જણ ત્યાંથી નીકળી પડ્યાં.

માર્ગમાં જયચંદની ફોજે એમને ઘેરી લીધાં. પૃથ્વીરાજના સૈનિકો પણ એટલામાં તેને આવી મળ્યા હતા. બંને પક્ષ વચ્ચે ઘોર યુદ્ધ જામ્યું, અનેક સામંતો અને સૈનિકો માર્યા ગયા, પણ આખરે પૃથ્વીરાજનો વિજય થયો. સંયુક્તાને પોતાનાજ અશ્વ ઉપર સવાર કરીને પૃથ્વીરાજ ત્યાંથી જયચંદના દેખતાં જ ચાલ્યો ગયો. જયચંદની સેના એમને પકડવા પાછળ પડી પણ કાંઈ વળ્યું નહિ. એ નવદંપતી સહીસલામત દિલ્હી પહોંચ્યાં.

દિલ્હીમાં દંપતીનો સંસાર ઘણાજ સુખ અને વિલાસમાં વ્યતીત થવા લાગ્યો. એક દિવસ સંયુક્તા ઉદ્યાનમાં બેસીને એકાંતમાં કાંઈ વિચાર કરી રહી હતી, એવામાં પૃથ્વીરાજ ત્યાં પહોંચ્યો અને પત્નીનો કર પ્રેમપૂર્વક પોતાના હાથમાં લઈ કહેવા લાગ્યો: “પ્રિયે ! તને પ્રાપ્ત કરીને હું કૃતાર્થ થયો છું. હૃદયમાં તને ધારણ કર્યાથી મેં જે સ્વર્ગ સુખ પ્રાપ્ત કર્યું છે તે કોણ જાણે કયા સત્કર્મોનું ફળ છે. રોગ, શોક, દુઃખ બધું હું વીસરી ગયો છું. તારા આવ્યાથી પૃથ્વી નંદનવન સમી બની છે. બાલ્યાવસ્થાથી જ મેં તારા પ્રત્યે જે પ્રેમ દાખવ્યો હતો, તેનો તેં પૂરો બદલો આપ્યો છે. તને સુખી કરવી, તારા જીવનને અમૃતમય કરવું, એજ મારા જીવનનો એક માત્ર ઉદ્દેશ બન્યો છે; છતાં વહાલિ ! આજ તને ઉદાસ કેમ જોઉં છું ? આજ તારાં નેત્રોમાં અશ્રુબિંદુ કેમ દેખાય છે ? આ આનંદના દિવસોમાં તારૂં ચિત્ત સ્ફૂર્તિહીન કેમ દેખાય છે ? તારા કોડ મારાથી પૂરા ન થઈ શક્યા હોય તો સત્વરે જણાવ.”

સતી સંયુક્તાએ પતિનો હાથ પકડીને ગદ્‌ગદ સ્વરે કહ્યું: “પ્રભુ ! ક્ષમા કરો ! આજ મારૂં હૃદય ચિરાય છે. મારા અભિલાષ તૃપ્ત નથી થયા.”

પૃથ્વીરાજે આશ્ચર્ય પામીને પૂછ્યું: “પ્રિયે ! આજ આ નવી વાત શી સાંભળું છું ? તારી શી આશા છે ? શી અભિલાષા છે ? તારો એ કયો કોડ છે કે જે મારાથી પૂર્ણ ન થઈ શક્યો હોય ? વહાલિ ! સત્વર બોલ.”

સંયુક્તાએ વિનયપૂર્વક ઉત્તર આપ્યો : “પ્રાણેશ્વર ! મારો સૌથી મોટો અભિલાષ તો એ હતો કે તમને પતિરૂપે પામું;