પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૫
કર્મદેવી



બળ અને હિંમત આપત. આજ એમની સરદારીમાં લડવાનું હોત, તો સંભવ છે કે અમે આજ મેવાડનું રક્ષણ કરી શકત.”

કર્મદેવીએ કહ્યું: “સમરસિંહ આજ નથી એ વાત ખરી, પણ તેની સહધર્મિણી હું તો હજુ જીવું છું. આજ તમે એની સરદારી ખોઈ છે એ વાત ખરી, પણ મારી સરદારી તો ગુમાવી નથી. હું પોતે યુદ્ધમાં તમારી સરદાર થવા તૈયાર છું.”

વિસ્મય પામેલા સરદારો ચૂપ થઈ ગયા. કર્મદેવીએ ફરીથી કહ્યું: “સરદારો ! હું સ્ત્રી છું, એટલે તમને મારી વાત ઉપર વિશ્વાસ નથી આવતો ? સ્ત્રી હોવા છતાં પણ હું રજપૂતરમણી છું. વીરેંદ્ર, યોગીંદ્ર, સમરસિંહની સહધર્મિણી છું. તેમની સહધર્મિણી હોવાથી હું આટલા દિવસ રાજધર્મનું પાલન કરી શકી છું. તેની સહધર્મિણી તરીકે જે હાથમાં મેં રાજદંડ ધારણ કર્યો છે તે જ હાથમાં રાજનું ખડગ ધારણ કરીને મેવાડના શત્રુનો નાશ કરીશ. યોગીશ્વર મહાતેજસ્વી મહાપુરુષ રુદ્રની સહધર્મિણી સિંહવાહિની દુર્ગાએ, જેમ દાનવોની સાથે યુદ્ધ કરીને તેમનો સંહાર કરી સ્વરાજ્યનું રક્ષણ કર્યું હતું, તેમ સમરસિંહની પત્ની તરીકે હું પણ પઠાણોનું દમન કરીને સ્વર્ગભૂમિ મેવાડનું રક્ષણ કરીશ. નિર્ભયપણે તમે આજ રણક્ષેત્રમાં મારી સાથે ચાલો. મેવાડનું રક્ષણ કદાચ ન પણ થાય, તો રણરંગિની રાણી સાથે રણક્ષેત્રમાં પ્રાણ દઈને મેવાડના ગૌરવનું રક્ષણ કરજો. પરાધીન થઈને જીવન ગાળ્યા કરતાં રણક્ષેત્રમાં મરવું લાખ દરજ્જે સારૂં છે.”

સરદારોના નિસ્તેજ નિરાશ હૃદયમાં આશાનો ઉષ્ણ પ્રવાહ વહેવા લાગ્યો. ઉલ્લાસથી બધા કર્મદેવીની જય બોલાવવા લાગ્યા. વિધવા રાણી વીરવેશમાં સજ્જ થઈ, મેવાડના વીરોને સાથે લઈ, યુદ્ધ કરવા ચાલી. શક્તિસેવક રજપૂત વીરો, શક્તિસ્વરૂપ રણરંગી કર્મદેવીની સરદારી નીચે અદમ્ય ઉત્સાહથી લડવા લાગ્યા. મુસલમાનોથી તેમનું પરાક્રમ સહન થઈ શક્યું નહિ. વીરાંગના કર્મદેવીના સૈન્યથી કુતુબુદ્દીને હાર ખાધી. ભારતવિજયી પઠાણવીર એક ભારતલલનાને હાથે પરાજિત થવાથી શરમાઈને દિલ્હી પાછો ગયો. આ પ્રમાણે વીરાંગનાએ મેવાડનું રક્ષણ કરીને અક્ષય કીર્તિ પ્રાપ્ત કરી. એ કીર્તિ ભારતના ઈતિહાસમાંથી કોઈ દિવસ ભુંસાશે નહિ. ખરેખર, મેવાડ વીરત્વની લીલાભૂમિજ છે !!