પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૮
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



હતી કે, નાગવાળાને આલણદે નામની પત્ની હતી, તેથી તેણે કુંવરને ઠપકો આપતાં કહ્યું :—

“ઘેરી ઘોડાં વાર, અતડેથી ઉતારમાં;
ઘર આણલદે નાર, નાગમતી શું ન્યાળિયે ?”

નાગવાળો શરમાઈને ત્યાંથી ચાલ્યો ગયો. એનું ચિત્ત હવે કાબુમાં નહોતું. કોઈ કામમાં એને ગોઠતું નહિ; તેની પત્ની આલણદેને એ ઉપરથી શંકા પડી કે પતિનું ચિત્ત કોઈ પ્રમદાએ ચોર્યું છે. તેણે પતિને પૂછ્યું:—

“નાગડા ! કાં ઉપરાંઠો સૂએ, નખેં ચીતરે ભીંત ?
ગૂંથી રૂપાળી ગોરડી, (તેને) કયી ચડી છે ચિત્ત ?”

નાગવાળો તેના ઉત્તરમાં તબિયત ખરાબ હોવાનું બહાનું બતાવી તેની વાત ઉડાવી દેતો.

આખરે એક દિવસ તેણે સાહસ કરીને નાગમતીના પિતાની મુલાકાત લીધી અને વિનયપૂર્વક નાગમતીના હાથની માગણી કરી. નાગવાળાનાં શૌર્ય, વિનય વગેરે ગુણોથી ભેડા રાજા પરિચિત હતો. એવા નરને પિતાની કન્યાનું દાન કર્યાથી કન્યાનું જીવન સુધરશે, એવી એને ખાતરી હતી; છતાં પોતાની પ્રતિજ્ઞા ઉપર તે દૃઢ હતો. નાગવાળાને પણ તેણે એજ પ્રતિજ્ઞા જણાવી. રાજકુમારને માટે રાજ્ય તજી ખેતીના જ્ઞાનની પરીક્ષા આપવા જવું એ લજ્જાસ્પદ હતું, એટલે નાગવાળો નિરાશ થઈ પાછો આવ્યો.

એક દિવસ પ્રાતઃકાળે નાગમતી પોતાની પ્રૌઢ સખી કસ્તૂરી સાથે સરોવરમાં સ્નાન કરવા સારૂ ગઈ હતી, એવામાં નાગવાળો પણ ત્યાં જઈ ચડ્યો અને ઘોડાસહિત સરોવરમાં ગયો. નાગમતીની અને તેની દૃષ્ટિ એક થઈ. નાગમતીને ઘણી વાર સુધી જોવાનો પ્રસંગ મળે તેટલા માટે તેણે પોતાની આંગળી ઉપરનો સોનાનો કિંમતી વેઢ પાણીમાં નાખી દીધો અને પછી એ વેઢ કાઢી આપવાને નાગમતીને પ્રાર્થના કરી, નાગમતી તરવાની કળામાં કુશળ હતી. એ ડૂબકી મારીને સરોવરમાંથી વેઢ શેાધવા લાગી. યુવક-યુવતીની આ પ્રેમચેષ્ટાઓ નાગવાળાની પત્ની આલણદે છાનીમાની તળાવકાઠે આવીને જોઈ રહી હતી. એની આંખમાંથી ઝેર વરસવા લાગ્યું. પોતે આવી છે અને એમની ચેષ્ટા જોઈ લીધી છે એ સૂચવવા સારૂ એણે એક સોરઠો કહ્યો :—