પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૦
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



લખીને કસ્તૂરી કાકીને હાથે તેને પહોંચાડ્યો :—

“(અમે) આવેલ ઉભે દેશ, (પણ) કો ગંજો (ગામ) ગમિયો નહિ;
(પણ) નાગડા ! તારે નેશ, (અમારે) મનડે માળો ઘાલિયો !”

આ સોરઠો વાંચીને નાગવાળો પ્રસન્ન થયો, પરંતુ પોતાની સાથે વરવામાં જે જોખમ રહેલું હતું, તે સુકુમાર અને પરતંત્ર નાગમતી નહિ ઉઠાવી શકે એમ ધારીને એણે નિરાશાજનક ઉત્તર લખ્યો. એ વાંચીને નાગમતીએ પુનઃ લખ્યું :—

“નાગડા ! નાની મ જાણ, મોટાથી પણ મત ઘણી;
કેદિક પડશે કામ (તે દી) નોરા કરસો નાગડા !”

આટલું વાંચ્યા છતાં પણ નાગવાળાએ ઉત્તેજક ઉત્તર ન આપ્યો, ત્યારે નાગમતીએ જણાવ્યું કે, “આપણે પૂર્વજન્મનાં પતિ પત્ની છીએ. આપણો સંબંધ કાંઈ નવો નથી.

“જે દી તમે નાગપાર, તે દી અમે નાગની;
(પણ) કાળજે મારે કટાર, (તે દી) સંજોગ આપણો નાગડો !
તમે પાણી અમે પાળ, તે આઠે પહોર આ હટતાં;
તે ધુંની ટાઢાર, (આ) નવી નથી કંઇ નાગડા !”

હવે નાગવાળાએ પ્રતિજ્ઞા કરી કે હું છ મહિનામાં તેને મારી પત્ની બનાવીશ.

નાગમતી પ્રસન્ન થઈને પોતાને મુકામે પાછી ફરી.

નાગવાળાનું ચિત્ત હવે કશામાં ચોટતું નહિ. ગમે તે પ્રયાસે નાગમતીને પ્રાપ્ત કરવી, એજ એના જીવનનો એક માત્ર ઉદ્દેશ બન્યો. એક દિવસે યોગ્ય પ્રસંગ જોઈને તેણે પ્રવાસે જવાની પિતાની આજ્ઞા માગી.

એકના એક પુત્રને દેશાવર મોકલતાં પિતાનો જીવ ચાલ્યો નહિ, એટલે નાગવાળાએ કહ્યું: “પિતાજી ! આપ મારી ચિંતા ન કરશો. બાલ્યાવસ્થામાં મેં આંગણામાં એક ચંપાનું વૃક્ષ રોપ્યું છે. તે વૃક્ષને મારા જીવન સાથે સંબંધ છે. મારા જીવનનો અંત આવશે ત્યારે એ વૃક્ષ પણ સુકાઈ જશે. મને મારા પૂર્વજન્મનું સ્મરણ છે. આપની ગાદીએ આવતાં પહેલાં મારે પૂર્વજન્મનું એક ઋણ અદા કરવાનું છે. એ કાર્ય પાર પાડી હું પાછો આપની સેવામાં હાજર થઈશ.”