१३७–सुलताना रज़ियाबेगम
સૂર્ય, ચંદ્ર કે અગ્નિવંશ જેવાં પ્રતાપી રાજ્યકુળોથી શાસિત થયેલા આપણા દેશના ભાગ્યમાં ઈ. સ. ૧૨૦૬ થી ૧૨૮૮ સુધી ગુલામવંશના રાજાઓનો રાજ્યઅમલ ભોગવવાનું નિર્માણ થયું હતું ! ઐબક ઉર્ફે કુતુબુદ્દીન એ વંશનો સ્થાપક હતો. ઐબકને બાલ્યાવસ્થામાં ખુરાસાનની રાજધાની નિશાપુરમાં આણવામાં આવ્યો હતો. ત્યાં એક ધનવાન પુરુષે તેને ખરીદી લીધો અને ભણાવ્યો. એ શેઠના મૃત્યુ પછી એક બીજા વેપારીએ તેને ખરીદી લીધો અને તેની ચંચળતા જોઈને શાહબુદ્દીન ઘોરીને ભેટ આપ્યો. શાહબુદ્દીનની એના ઉપર ઘણી પ્રીતિ થઈ અને તે તેના ઉપર પુષ્કળ પ્રેમ રાખવા લાગ્યો. બાદશાહનનો તેના ઉપર ઘણો વિશ્વાસ હતો. બાદશાહે તેને યુદ્ધકળામાં અને રાજ્યપ્રબંધમાં કેળવ્યો અને આખરે એને હિંદુસ્તાનમાં પોતાના પ્રતિનિધિ તરીકે મોકલ્યો. ગિઝનીમાં શાહબુદ્દીન મહંમદ ઘોરીનું મરણ નીપજ્યા પછી કુતુબુદ્દીન પોતાને દિલ્હીનો સ્વતંત્ર બાદશાહ ગણવા લાગ્યો. પોતાના નામથી તેણે ખુત્બા પઢાવ્યા અને સિક્કા પણ પડાવ્યા; એટલું જ નહિ પણ સ્વર્ગવાસી બાદશાહનાં સગાંઓ સાથે લગ્ન સંબંધ બાંધ્યો. ગિઝનીના સૂબેદારની કન્યા સાથે પોતે લગ્ન કર્યું અને સિંધના સૂબેદારને પોતાની બહેન તથા અલ્તમશ નામના બીજા સરદારને પોતાની પુત્રી પરણાવી. આ પ્રમાણે દિલ્હીની ગાદી પચાવી પાડનાર ગુલામને ઉચ્ચ કુળના મુસલમાનો સાથે સંબંધ બાંધી કુળવાન બની જતાં વાર ન લાગી. કુતુબુદ્દીને પોતાના રાજ્યનો વિસ્તાર ઘણો વધાર્યો. એ એક સજ્જન, ન્યાયી અને ઉદાર બાદશાહ હતો.
કુતુબુદ્દીનને આરામ નામે એક પુત્ર હતો. ઈ. સ. ૧૨૧૦માં પોલો રમતાં રમતાં બાદશાહનું મૃત્યુ થયું, ત્યારે આરામશાહ