પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૩
દાઈ મનમેલ


રઝિયાના જીવનનો અંત આવ્યો. એ ટૂંક સમયના રાજ્યશાસનમાં પોતાના ઉચ્ચ ગુણોનો પરિચય આપતી ગઈ છે. મુસલમાની રિયાસતનો ઇતિહાસ લખનાર રા. રા. સર દેસાઈ એના સંબંધમાં નીચે પ્રમાણે લખે છે :—

“વાસ્તવિક રીતે રાજ્યકારભાર ચલાવવાને તે સમર્થ હતી; પરંતુ સ્ત્રી રાજ્ય કરે એ કલ્પનાજ તુર્કી લોકોને રુચી નહિ, તેથી તેનો નાશ થયો. આજ સુધી મુસલમાની અમલમાં ત્રણ સ્ત્રીઓએ રાજગાદી ભોગવી છે. એક આ રઝિયા અને બીજી શજારૂદર, ઈ. સ. ૧૨૫૦ માં ઈજિપ્તની રાણી હતી. એણે ધર્મયુદ્ધમાં ફ્રાન્સના નવમા લૂઇ (સેંટ લૂઈ)નો પરાભવ કર્યો હતો. ત્રીજી આબિશ ઈરાનમાં તેરમા સૈકામાં રાજ્ય કરતી હતી. દિલ્હીના તખ્ત ઉપર બેસનાર પહેલી રાણી રઝિયા હતી. ત્યાર પછી કોઈ નારી એ સિંહાસન ઉપર બેઠી નથી. ફક્ત મહારાણી વિક્ટોરિયાએ દિલ્હીમાં દરબારભરીને કૈસરેહિંદનો ખિતાબ ધારણ કર્યો હતો.”

१३९–दाई मनमेल

નું મૂળ નામ હમબલ હતું એ ખ્વાજા કુતુબુદ્દીનની કાકીની દાઈ હતી. કુતુબુદ્દીન ખ્વાજા સાહેબ એ દાઈનું સ્તનપાન કરીનેજ ઉછર્યા હતા. ખ્વાજા સાહેબ મોટા સિદ્ધ પુરુષ હતા અને પાછળથી દિલ્હીમાં આવી વસ્યા હતા. દિલ્હીમાં ગયા પછી તેમણે દાઈ મનમેલને પોતાને ત્યાં બોલાવીને ઘણી પ્રતિષ્ઠા કરી હતી. ખ્વાજા સાહેબના સહવાસથી એ દાઈ પણ ધાર્મિક અને સાધ્વી થઈ ગઈ હતી. ઇશ્વરભક્તિમાં તેનો સમય વ્યતીત થતો. ખ્વાજા સાહેબના દર્શનાર્થે આવનારી સ્ત્રીઓને એ ઉપદેશ આપતી તથા તેમના જીવનમાં ધાર્મિકતાનો સંચાર કરતી. ખ્વાજા સાહેબને તેના ઉપર પૂર્ણ વિશ્વાસ હતો. ઘરનો બધો કારભાર એમણે દાઈ મનમેલને સોંપી દીધો હતો. એ વિનયી અને મર્યાદાશીલ સ્ત્રી હતી. પુરુષોને પોતાનું મોં કદી બતાવતી નહોતી, એની કબર પુરાણી મસ્જિદની સામે પૂર્વી દરવાજા આગળ હજરત ખ્વાજા સાહેબની કબર પાસેજ દિલ્હીમાં છે.