સારૂં છે.” એ પ્રમાણે કહીને તે ‘જય અંબે’ ‘જય અંબે’ કરતી સતી થવાના આવેશમાં આવી જઈને નીચે ઊતરી. સર્વ કોઇ તેને સતી ગણીને પૂજવા લાગ્યાં. તેણે શાસ્ત્રની વિધિ પ્રમાણે પતિને પિંડદાન કર્યું તથા પતિના શબને ખોળામાં લઈને સળગતી ચિતામાં ચડી બેડી. તેણે મરતી વખતે પોતાના બે હાથ ચોળી, બળતા અંગારાએ ખોબો ભર્યો અને પાટણ શહેર ઉપર એ અંગારા ફેંકી દઈને બોલી કે, “જે રાજાએ વગર વાંકે પોતાના વિશ્વાસુ પ્રધાનની સ્ત્રી અને તે પણ નાગર જેવી ઊંચી બ્રાહ્મણ જાતિની–એવીનું હરણ કર્યું, તે રાજા થોડા દિવસમાં રણમાં ને વગડામાં રઝળશે, તેની સ્ત્રીને બીજા લોકો લઈ જશે, તેની પુત્રી દુઃખ પામી પામીને પરપુરુષના હાથમાં પડશે; રાજા પોતાનું મોત પોતાને હાથે માગશે; તે ક્યાં મૂઓ અને ક્યારે મૂઓ તેનો પણ પત્તો નહિ લાગે. તેના સમૃદ્ધિવાન નગરનો નાશ થશે, તેનું દ્રવ્ય લૂંટાઈ જશે તથા સર્વ રીતે તેની પાયમાલી થશે.”
આ પ્રમાણે કહીને તેણે સૂર્યદેવનું આહ્વાન કર્યું અને જોતજોતામાં તેનો પવિત્ર દેહ ભસ્મીભૂત થઈ ગયો.