१४३–सुहडादेवी
આબુના રળિયામણા પર્વત ઉપર પ્રવાસ કરી આવેલી અમારી વાચક ભગિનીઓ ત્યાંના પુરાતન જૈન મંદિરોનું અપૂર્વ સૌંદર્ય જોઈને મુગ્ધ થઈ ગઈ હશે. ત્યાં આગળ નેમિનાથ મહારાજનું એક મંદિર છે, જે વસ્તુપાલ તેજપાલના મંદિર તરીકે પ્રસિદ્ધ છે. એ મંદિર વસ્તુપાલના નાના ભાઈ તેજપાળે પોતાના પુત્ર લૂણસિંહ અને પોતાની પ્રિય પત્ની અનુપમદેવીની સદ્ગતિ નિમિત્તે કરોડો રૂપિયાનું ખર્ચ કરાવીને ઈ○ સ○ ૧૨૩૧ માં બંધાવ્યું હતું. એ એક ઘણું જ સુંદર મંદિર છે અને ત્યાંનાં ઉત્તમ મંદિર વિમળશાહના દહેરાની ઘણા અંશમાં સમાનતા કરી શકે છે. એ મંદિરની કારીગરીના સંબંધમાં ભારતીય શિલ્પકલાના અભ્યાસી પ્રસિદ્ધ લેખક ફર્ગ્યુસન સાહેબ પોતાના પુસ્તક “પિક્ચરસ ઈલસ્ટ્રેશન્સ ઑફ એન્શન્ટ આર્કિટેકચર ઇન હિંદુસ્તાન” (અર્થાત્ ‘હિંદુસ્તાનમાં પ્રાચીન કોતરકામનાં જોવાલાયક ચિત્રો)માં લખ્યું છે કે, “આ મંદિર આરસપહાણનું બનેલું છે. અત્યંત પરિશ્રમ સહન કરી શકનાર હિંદુઓના ટાંકણાથી, બારીકાઈથી એટલી મનોહર આકૃતિઓ બનાવી છે કે, તેની નકલ ઉપર ગમે તેટલી મહેનત કર્યા છતાં અને ગમે તેટલો સમય રોકાયા છતાં, હું કાગળ ઉપર ઉતારી શકતો નથી.” તેના ઘૂમટોની કારીગરીનાં વખાણ કરતાં કર્નલ ટૉડ લખે છે કે, “એનું ચિત્ર તૈયાર કરતાં કલમ થાકી જાય છે અને અત્યંત પરિશ્રમ કરનારા ચિત્રકારની કલમને પણ એમ કરતાં ઘણો પરિશ્રમ પડશે.” ગુજરાતના ઇતિહાસકાર ફાર્બસ સાહેબે પણ “રાસમાળા” માં એ મંદિરના કોતરકામની ઘણી પ્રશંસા કરી છે. એ મંદિરને બંધાવનારા વસ્તુપાળ અને તેજપાળ ગુજરાતની જૂની