ખિતાબ આપ્યો હતો તથા બિજાપુરનો સૂબો બનાવ્યો હતો. ખ્વાજા જહાંથી એની ચડતી દેખી શકાઈ નહિ. અદેખાઈનું જોર દિવસે દિવસે એનામાં વધતું જ ગયું.
હુમાયુ ઘણો કઠોર રાજ્યકર્તા હતો, મૂર્ખતાની તો એ મૂર્તિ હતો. એના જેવા અયોગ્ય રાજકર્તા દક્ષિણમાં ભાગ્યેજ બીજો કોઈ થયો હશે. એની વૃત્તિઓ ઘણીજ રાક્ષસી હતી, એક વાર એ રાજ્યની તપાસ કરવા સારૂ ક્યાંક ગયો હતો, એ વખતે રાજમહેલમાં કાંઈ ગડબડ થઈ ગઈ. કોનો વાંક છે, તેની તપાસ ન કરતાં એકદમ હજારો કમનસીબ માણસો જીવતાં બળતી કઢાઈઓમાં ઉકાળીને મારી નાખ્યાં. પોતાના સગા ભાઈ હસનખાંને પણ ક્રૂરતાથી મારી નંખાવ્યો હતો. કોઈ કહે છે કે, જીવતાં એની આંખો ફોડાવી નાખી હતી, તો કોઈ કહે છે કે, વાઘના મોં આગળ છોડી દઈને એનો પ્રાણ લેવરાવ્યો હતો. રાજગાદી, વૈભવ અને સત્તા મળ્યા પછી પ્રમાદી મનુષ્ય ઉન્મત્ત બની જઈને શું શું નથી કરતો ? નિર્દોષ મનુષ્યો ની હાય કદાપિ ખાલી જતી નથી. ભરજુવાનીમાં ગંભીર મંદવાડ ભોગવીને દુરાચારી બાદશાહ મરણ પામ્યો. મરતી વખતે એ પોતાના આઠ વર્ષના સગીર પુત્રને યુવરાજ, ગવાંને મુખ્ય મંત્રી, ખ્વાજાને સહાયક અને બેગમને પોતાની વારસ બનાવતો ગયો. હવે અમે બેગમ સાહિબાના સંબંધમાં કાંઇક લખીશું.
હુમાયુનું મૃત્યુ બ્રાહ્મણી રાજ્યને માટે ખરેખર લાભદાયી નીવડ્યું, “ઝાલિમ” (અત્યાચારી–આતતાયી) નામથીજ પ્રસિદ્ધ થયેલ એ બાદશાહ લાંબો વખત જીવ્યો હોત, તો રૈયતને કોણ જાણે કેટલી જાતનાં દુઃખ દેત ! બાદશાહ જેટલો કઠોર અને સાંકડા મનનો હતો, તેટલી જ તેની બેગમ દયાળુ, સદાચારી અને ઉદાર મનની હતી. કાદવ અને કમળના સંયોગ જેવો એમનો સંબંધ મનાતો હતો. પતિના મૃત્યુ પછી બેગમે પુત્રને યુવરાજ તરીકે ગાદી ઉપર બેસાડવાની ક્રિયા કરી અને પોતાના રાજનીતિ સંબંધી ઉત્તમ જ્ઞાનને લીધે ગવાં જેવા મંત્રીની સહાયથી રાજ્યની અવ્યવસ્થાને જલદી સુધારી દીધી,
હુમાયુના મૃત્યુના સમાચાર બીજા પ્રાંતોમાં પહોંચતા વારજ માળવાના સુલતાનની દાનત બગડી અને તેણે વિચા૨ કર્યો કે, બાદશાહ મરણ પામ્યો છે, રૈયત અસંતુષ્ટ અને દુઃખી છે, શાહજાદો