હોય છે કે, પોતાના પતિ વગર દુનિયામાં કોઈ પુરુષજ નથી; તે ઉત્તમ પ્રકારની પતિવ્રતા છે. એ તો એમજ સમજે છે કે મારા પતિ વગર બધા નપુંસક છે. મધ્યમ શ્રેણીની પતિવ્રતા પરપુરુષને ભાઈ, પિતા અને પુત્ર સમાન ગણે છે. જે સ્ત્રીઓ પોતાના કુળની આબરૂ સાચવવા ખાતર, ધર્મથી બીને શિયળ સાચવી રાખે છે, તે નિકૃષ્ટ પતિવ્રતા છે અને જે લાગ નહિ મળવાના સબબથીજ શિયળ સાચવી શકી છે, તે અધમ પતિવ્રતા છે. હું પરાયા પછી પતિ સિવાય બીજા બધા પુરુષને નપુંસક ગણતી આવી છું. આજ દિન સુધી મેં પ્રાણનાથ સિવાય બીજા કોઈ પુરુષ સાથે વાત નથી કરી. આજ પતિ ઘર નહિ હોવાથી અતિથિ ગણીને અને અતિથિને ભિક્ષા આપ્યા વગર ખાલી હાથે પાછા મોકલવા એ શાસ્ત્રવિરુદ્ધ હોવાથી આપની સાથે વાતચીત કરી છે. મારી પૂર્ણ ખાતરી છે કે પતિદેવ મારા ઉપર આ અપરાધને માટે કદી અપ્રસન્ન નહિ થાય.”
સતી નર્મદાનો ઉપદેશ સાંભળીને ભોજરાજા ઘણોજ પ્રસન્ન થયો અને તેના શુદ્ધ પતિપ્રેમ તથા સતીત્વની અત્યંત પ્રશંસા કરીને, તને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરી મહેલ ભણી રવાના થયો.
જ્યારે બ્રાહ્મણ સુશર્મા દેવદર્શન કરીને ઘેર આવ્યો ત્યારે સતી નર્મદાએ ધ્રૂજતે શરીરે હાથ જોડીને સઘળો વૃત્તાંત કહી સંભળાવ્યો તથા પરપુરુષની સાથે વાર્તાલાપ કરવા માટે ક્ષમા માગી.
બ્રાહ્મણે ભોજરાજાના સદ્ગુણોનો વિચાર કરી પોતાની ગેરહાજરીમાં તેનો સત્કાર કરવા માટે નર્મદાની ઘણી પ્રશંસા કરી.
१०८–मदालसा
શારંગધરના સંગ્રહમાં ધર્મનિવૃત્તિ પ્રકરણમાં વ્યાસના શ્લોક પછી મદાલસાનો નીચે ઉતારેલો શ્લોક છેઃ–
परलोकहितं तात प्रातरुत्थाय चिन्तय ।
इह ते कर्मणामेव विषाकश्चिन्तयिष्यति ।।
“હે પુત્ર ! સવારના પહોરમાં ઊઠીને પરલોકના હિતનો વિચાર કર. આ લોકનો વિચાર તો તારાં કર્મોની ઘટનાઓ ઊભી છે તે કરશે.”