११८–जसमा ओडण
વિક્રમની બારમી સદીમાં ગુજરાત દેશમાં સિદ્ધરાજ નામનો રાજા રાજ્ય કરતો હતો. અણહિલપુર પાટણમાં તેની રાજધાની હતી. સિદ્ધરાજ ઘણો પ્રતાપી અને વીર રાજા હતો. પ્રજાની ઉન્નતિ અને સુખને સારૂ એ સદા પ્રયત્નશીલ હતો. પોતાના પાટનગરમાં એક સારા જળાશયનો અભાવ જોઈ ને તેણે એક વિશાળ તળાવ બંધાવવા માંડ્યું હતું. એ તળાવ સહસ્ત્રલિંગ તળાવના નામથી પ્રસિદ્ધ છે. આ તળાવનાં અવશેષ આજે પણ પાટણમાં દૃષ્ટિગોચર થાય છે. આ તળાવ ઘણું જ વિશાળ અને ગોળાકૃતિ હશે, તથા તેની આસપાસ શિવાલય બાંધ્યાં હશે એમ તેના ‘સહસ્ત્રલિંગ’ નામ ઉપરથી અનુમાન થાય છે.
એ તળાવ ખોદવા માટે સિદ્ધરાજ જયસિંહે માળવા પ્રાંતના ઓડ જાતિના કુશળ અને મજબૂત મજૂરોને બોલાવ્યા હતા. એ કામ ઉપર ઓડ જાતિનાં અનેક સ્ત્રીપુરુષ લાગેલાં હતાં. તળાવનું કામ તપાસવા સારૂ સિદ્ધરાજ ઘણી વખત સાંજને સમયે એ તળાવ ઉપર જઈ બેસતો. એક દિવસ એ બેઠો બેઠો મજૂરનું કામ તપાસી રહ્યો હતો એવામાં જસમા નામની એક ઓડણ ઉપર તેની દૃષ્ટિ પડી, ઓડ જાતિની એક સાધારણ મજૂરણ હોવા છતાં પણ જસમાનું સૌંદર્ય અપ્રતિમ હતું. એ ઘણી નાજુક અને ગૌર વર્ણની હતી. તેનું મુખ સુકોમળ અને નિર્મળ ચંદ્રમાના જેવું તેજસ્વી હતું. તેના કેશ લાંબા અને કાળા હતા, નેત્ર કમળના જેવાં હતાં, નાસિકા અણીદાર હતી; આખું અંગ ઘાટદાર હતું, તેનો હાવભાવ ચિત્તાકર્ષક હતો. આ બધાં કારણોને લીધે એ એક અપ્સરા સમાન જણાતી હતી અને આવું દૈવી સૌંદર્ય ઓડ જેવી જાતિમાં પરમાત્માએ શા સારૂ મૂક્યું હશે, એ સંબંધી ઘણાને આશ્ચર્ય લાગતું. ઓડ જાતિના વંશપરંપરાનો ધંધો ખાણમાંથી પથ્થરો