પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૨
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



“ચંપા ! તું કાં મહોરિયો, થડ મેલું અંગાર;
મહોરે કળિયું માણતો, માર્યો રા’ખેગાર”

એમ કહેવાય છે કે રાણીનાં એ વચનો સાંભળીને ચંપાનું ઝાડ સુકાઈ ગયું અને એ લીલીકુંજાર વાડી પણ બળી ગઈ. પછી ગિરનાર પર્વતને જોઈને તે બોલી કે:—

“ઊંચો ગઢ ગિરનાર, વાદળથી વાતું કરે;
મરતાં રા’ખેંગાર, રંડાપો રાણકદેવડી.”

પાંચ ગાઉ ચાલ્યા પછી રાણકદેવીએ પાછું વળીને જોયું. ઊંચો ગિરનાર એ સમયે દૃષ્ટિગોચર થતો હતો. ગિરનાર જાણે એ ફોજ વળાવવા આવતો હોય એવો ભાસ થતો હતો. તેને સંબોધીને રાણકદેવી બોલી:––

“ગોઝારા ગિરનાર ! વળામણ વેરીને કિયો;
મરતાં રા’ખેંગાર, ખરેડી ખાંગો નવ થિયો.”

ઘણે દૂર પહોંચ્યા પછી ગિરનારને દૃષ્ટિમર્યાદામાં પેસી જતો જોઈને એ બોલી ઊઠી:—

“મ પડ મારા આધાર ! ચોસલાં કોણ ચઢાવશે?
ગયા ચડાવણહાર, જીવતા જાતર આવશે.”

સારાંશ કે, “એ ગિરનાર! તું પડીશ નહિ, હવે તારાં ચોસલાં પાછાં કોણ ચડાવશે? ચડાવનાર હતો તે તો ગયો અને હવે જીવતા હશે તેઓ તારી જાત્રા કરવા આવશે માટે તું પડી જઈશ નહિ.”

આ પ્રમાણે રસ્તામાં પણ ક્ષણે ક્ષણે પતિનું સ્મરણ કરતી કરતી રાણકદેવી પાટણ આગળ આવી પહોંચી. ત્યાં આગળ સિદ્ધરાજે તેને રહેવા માટે સુંદર સ્થાન બનાવ્યું ત્યારે રાણકદેવીએ કહ્યું કે:—

“બાળું પાટણ દેશ, પાણિ વિના પૂરાં મરે,
સરવો સોરઠ દેશ, સાવજડાં એ જળ પીએ.”

પછી પાટણને પાદર આવીને બધાએ ઉતારો કર્યો. સિદ્ધરાજે શહેર બહાર આખા શહેરને ઉજાણી કરાવીને કહ્યું કે, “સર્વે લોકોએ સારાં સારાં લૂગડાં પહેરીને બહાર આવવું.” રાજાની આજ્ઞા માનીને બધા નાગરિકો સુંદર વસ્ત્રાલંકાર પહેરીને ઉજાણીએ આવ્યા, ત્યારે તેને જોઈને રાણકદેવી બોલી કે:—–