એ સમયે વિવાહનાં વસ્ત્રો પહેર્યા હતાં. માથે વિવાહનો મોડ હતો. લીલાવતી પાત્રની તરફ માથું નમાવીને પાત્ર ક્યારે ડૂબે એ આતુરતાથી જોયા કરતી હતી. એવામાં એકાએક તેના મોડમાંથી એક નાનું મોતી ખરી જઇને પાત્રની વચમાં જઇ પડ્યું અને એનું છિદ્ર પુરાઈ ગયું.
મોતી એટલું નાનું હતું કે, એ તરફ કોઈનું લક્ષ ગયું નહિ.
સાધારણ પરપોટાની પેઠે મોતી ઘડાના જળ ઉપર ક્ષણવાર જણાઈને ડુબી ગયું. સાથે સાથે લીલાવતીનું સાંસારિક સુખ પણ ડૂબી ગયું.
ઘણી વાર થઈ ગઈ, પણ પાત્ર ડૂબ્યું નહિ. જળ પણ વધ્યું નહિ. બધાએ તપાસ કરીને જોયું તો માલુમ પડ્યું કે લીલાવતીના મુગટમાંથી એક નાનું સરખું મોતી ઘડાના છિદ્રમાં ભરાઈ રહ્યું છે. એ કેટલી વારથી ભરાયું છે, કેટલી વાર થયાં છિદ્રોમાંથી પાણી આવતું નથી તે કોઈ નક્કી કરી શક્યું નહિ, એટલે, વિવાહનું શુભ મુહૂર્ત નક્કી કરવાનું કામ પણ અસંભવિત થયું, બધા પ્રયત્ન નિષ્ફળ જવાથી ભાસ્કરાચાર્યને ઘણો શોક થયો.
બનવા કાળને કોઈ રોકી શકતું નથી. વિધાતાના વિધાનનું કોઈ ઉલ્લંઘન કરી શકતું નથી. કર્મોના ફળરૂપે જેને જે દુ:ખ ભોગવવાનું નિર્માણ થયું છે તે ભોગવ્યા વગર છૂટકો નથી, એવા વિચારથી ભાસ્કરાચાર્યે વધારે સંકોચ ન આણતાં લીલાવતીનો વિવાહ કરી દીધો.
વિવાહના થોડા દિવસ પછી લીલાવતી વિધવા થઈ.
પતિ કે સંતાન વગરની અભાગી લીલાવતી શૂન્ય સંસારમાં પોતાનું શૂન્ય જીવન કેવી રીતે ગાળશે, એ વિચારે ભાસ્કરાચાર્યને ઘણા આકુળવ્યાકુળ કર્યા. આખરે એમના મનમાં વિચાર ઊપજ્યો કે, “ઠીક, ત્યારે લીલાવતીને ગણિત, જ્યોતિષ આદિ વિદ્યા શા માટે ન ભણાવું? એકાંતમાં પોતાની મેળે એ વિદ્યાનો અભ્યાસ કરવાથી તેના જીવનની નીરસતા જતી રહેશે.
“ફક્ત પતિસેવા અને સંતાનપાલનની નાની સીમામાં બંધાઈ ન જવાથી લીલાવતીનું જીવનચરિત્ર ઘણું વિશાળ થશે, સાંસારિક સુખભોગથી વંચિત હોવા છતાં પણ જ્ઞાનને લીધે અમર કીર્તિ મેળવ્યાથી લીલાવતીનું આ પાર્થિવ જીવન ધન્ય થશે; લીલાવતીનું