ત્યાં રહી પોતાને ગામ ગયો. રુકિમણી અને વિઠ્ઠલપંતનો ગૃહસ્થાશ્રમ સુખમાં ચાલવા લાગ્યો. વિઠ્ઠલપંતના પિતા ગોવિંદપંત અને માતા નિરાબાઈ પુત્ર તથા વહુને સુખી જોઈને થોડા સમયમાં મરણ પામ્યાં.
ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં વિઠ્ઠલપંતનું ચિત્ત બરાબર ચોટતું નહિ. એમની વૃત્તિ વૈરાગ્ય તરફ હતી. રાતદિવસ હરિકીર્તનમાં એમનો સમય વ્યતીત થતો. રુકિમણીએ એ વાત પિતાને જણાવી એટલે સિદ્ધોપંત પુત્રી તથા જમાઈને પોતાને ગામ તેડી લાવ્યા. રુકિમણીને અત્યાર સુધી કાંઈ સંતાન થયું નહોતું અને થવાનો સંભવ પણ ઓછોજ હતો, એટલે વિઠ્ઠલપંતે પત્નીને કહ્યું: “તમે જાણો છો કે મારા ચિત્તમાં વૈરાગ્યની ઇચ્છા છે, હું કાશી જઈને સંન્યસ્ત લેવા માગું છું. તમે રજા આપો.” રુખમાબાઈને પતિના હૃદયમાં વસેલા તીવ્ર વૈરાગ્યની ખબર હતી એટલે એણે જવાની રજા ન આપી અને બધી વાત પિતાના પિતાને જણાવી. સિદ્ધોપંતે વિઠ્ઠલપંતને કહ્યું: “હમણાં તમારે સંન્યસ્ત લેવો ઉચિત નથી. સંતાન થયા પછી ભલે કાશી જઈને પરમહંસ બનો. એ વખતે તો વિઠ્ઠલપંતે માની લીધું, પણ પછી એક વખત વિઠ્ઠલપંતે સિદ્ધોપંતને કહ્યું: “ગંગામાં સ્નાન કરવા જાઉં છું.” સસરાના મુખમાંથી સ્વાભાવિક રીતે “જાઓ” શબ્દ નીકળી ગયો. તેને આજ્ઞારૂપ જાણીને વિઠ્ઠલપંત ઉતાવળે પગલે ઘરબાર છોડીને કાશી તરફ ચાલ્યા.
કાશીમાં એ સમયે કબીરજીના ગુરુ રામાનંદ સ્વામી બિરાજતા હતા. વિઠ્ઠલપંતે તેમની સેવા કરી અને દીક્ષા આપવાની પ્રાર્થના કરી. આવા તરુણને સંન્યસ્તદીક્ષા આપવાને સ્વામીજીએ વાંધો લીધો ત્યારે વિઠ્ઠલપંતે જણાવ્યું કે, “મારે પત્ની તથા સંતાન કોઈ નથી. તમે નિઃસંકોચભાવે મને દીક્ષા આપો.” રામાનંદ સ્વામીએ વિઠ્ઠલપંતને સંન્યાસી બનાવ્યા અને તેમનું ચૈતન્યાશ્રમ નામ પાડ્યું.
આ વાત ધીમે ધીમે આલંદી પહોંચી; કેમકે કાશીનિવાસ નિમિત્ત દરેક પ્રાંતના લોકો સ્થાયીરૂપે ત્યાં વસે છે અને ગામેગામથી હજારો યાત્રાળુ પ્રતિદિન ત્યાં આવે છે. રુખમાબાઈને એ સમાચારથી ઘણો ખેદ થયો. એણે જાણ્યું કે, “મારો ગૃહસ્થાશ્રમ સમાપ્ત થયો; સંસારના સુખની આશા હવે મિથ્યા છે. પ્રભુ જે કરે