પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

નરસિંહ મહેતો: આદિ ભક્તકવિ

જૂનાગઢની સાહિત્યસેવા, મેં નર્મદ જયંતીના પ્રસંગે કહ્યું છે તેમ, વિવિધ અને વિશાળ છે. સાહિત્યના ઇતિહાસની દૃષ્ટિએ નહિ, તો લોકપરંપરાની રીતિએ ગુર્જર સાહિત્યના આદ્ય કવિ તરીકેની કીર્તિ ભોગવનાર આપણા નરસિંહ મહેતાએ ગુર્જર કાવ્યસ્રોત વહેતો કર્યો, ત્યાર પછી તો જૂનાગઢમાં શ્રીધર, મનહર સ્વામી અને રણછોડજી દીવાને યથાશક્તિ ગુજરાતી સાહિત્યના વિકાસમાં ફાળો આપ્યો છે. તે ઉપરાંત હાલના લેખક, કવિઓ ને પંડિતો તરફ નજર નાખીએ તો શ્રી ગિરિજાશંકર આચાર્ય, લલિતજી, મોતીશંકર ઘોડા, જયસુખરાય જોશીપુરા, હરિરાય બુચ, ઉછરંગરાય ઓઝા, અને નટવરલાલ વૈષ્ણવ જેવા અનેક નાના મોટા સાહિત્યભક્તો માટે જૂનાગઢ જ જશ ખાટી જાય તેમ છે. પણ આટલું તો ગુર્જર સાહિત્ય પરત્વે જ; સંસ્કૃત અને અન્ય ભાષાઓના સાહિત્યને કે વિદ્વત્તાને વેગ આપવા માટે અહીંના સરસ્વતીપુત્રોની સેવાનાં મૂલ્ય તે ભવિષ્ય ઉપર જ હું મુલતવી રાખું છું.

ઇતિહાસની ખાણ સમું પુરાતન જૂનાગઢ અનેક ઉદય અસ્તનું સાક્ષી છે. આ ઐતિહાસિક નગરીના સ્થળે અનેકવિધ જંગ ખેલ્યા છે, કૈં કૈં રાજકીય ઉથલપાથલો જોઈ છે, અને કૈં કૈં ધાર્મિક વિપર્યયો નિહાળ્યા છે. પણ જો જૂનાગઢ આજેય આખા ભારતવર્ષમાં જાણીતું હોય તો મુખ્યત્વે ત્રણ કારણે. પ્રથમ તો તેના જુગજૂના, પ્રકૃતિ–સોહામણા ગરવા ગિરનારને લીધે; બીજું, તેની સતી સાધ્વી વીર રજપુત રમણી રાણકદેવીને લીધે; ત્રીજું, તેના ભક્તશિરોમણિ વૈષ્ણવ નરસૈયાને લીધે.