પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૬
સાહિત્યને ઓવારેથી
 

તેને સાર્થક કરી. આ ભાઈઓનાં માતપિતાની વિગતો માટે વાચકે કવિ છોટમ ઉપરનો લેખ જોઈ લેવા વિનંતિ છે.

ઇ. સ. ૧૮૬૫ના અરસામાં શાસ્ત્રીજીએ આજીવિકા માટે કુબેર સંપ્રદાયના ધર્મોપદેશકનું પદ સ્વીકાર્યું, પણ અન્ય સંપ્રદાયના ખંડન વડે કુબેરપંથનું સમર્થન કરવાનું તેમને કહેવામાં આવતાં, આ સ્વતંત્ર ને સત્યપ્રિય સજ્જને તે પદનો ત્યાગ કર્યો. ત્યાર પછી તેઓ અમદાવાદના જૈનમંદિરમાં શિક્ષાગુરુ તરીકે નિમાયા, અને તેથી તેમની વિદ્વત્તાને અનન્ય વેગ મળ્યો. જૈન ધર્મના શિક્ષણને અંગે તેમણે પ્રાકૃત, અર્ધમાગધી અને અપભ્રંશ સાથે પરિચય સાધ્યો; અને સંસ્કૃત, પાલી તથા જૂની ગુજરાતીના જ્ઞાનમાં પણ પોતે ખૂબ વધારો કર્યો. જૈનભંડારોએ કૈં કૈં પ્રાચીન પુસ્તકો તેમને હસ્તગત કર્યાં, અને જૈન સમાજે તેમની વિદ્વત્તાને ખૂબ જાણીતી કરી. થોડા સમયમાં જ અમદાવાદની ‘ધર્મસભા’ના મંત્રી અને ‘ધર્મપ્રકાશ’ નામે માસિકના તંત્રીની જવાબદારીઓ તેઓ સંભાળતા થયા. અમદાવાદના આ સાહિત્યતીર્થે તેમને કૈં કૈં મિત્રો આપ્યા, ને કૈં કૈં પંડિતોની જાણ કરી. પંડ્યા દોલતરામ, શુકદેવ શાસ્ત્રી, દો. ભાઉ દાજી અને મણિશંકર કીકાણીઃ સૌ વ્રજલાલને દૂરથી પણ અમદાવાદના એક સર્મથ સાક્ષર તરીકે ઓળખતા થયા. તળ અમદાવાદની તથા નડિઆદની અનેક જાણીતી વ્યક્તિઓ સાથે તેમને અંગત મૈત્રી બંધાઈ. ભોળાનાથ સારાભાઈ, રણછોડભાઈ ઉદયરામ, જનાર્દન સખારામ ગાડગીલ, મનસુખરામ સૂર્યરામ, અને હરિદાસ વિહારિદાસ: આવા કેટકેટલાય પ્રતિષ્ઠિત મહાજન સાથે ત્યારે શાસ્ત્રીજીને વિશેષ પરિચય થયો.