પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કલાપી–જીવન અને ‘કેકારવ’
૨૦૧
 


કલાપી તે સ્નેહી હતો કે કવિ એ પ્રશ્ન ઉપર આજ સુધીમાં ઘણો ઉહાપોહ થયો છે; પણ વસ્તુતઃ તે ‘કવિ’ ને ‘સ્નેહી’ એ બે શબ્દો કાંઈ વિરોધાત્મક નથી. કવિ તે સ્નેહી હોઈ શકે એ જેમ સાચું છે. તેમ સ્નેહી તે કવિ હોઈ શકે તે પણ સત્ય છે. સ્વ. કાન્ત કહે છે કે “જો ‘જેની દ્વારા કવિતા ઉતરી શકે તે કવિ,’ એ વ્યાખ્યા સ્વીકારીએ તો બેશક કલાપી સૌરાષ્ટ્રના એક ઉચ્ચસ્થિત કવિ છે. પણ ‘કવિતા રસમાં જે નિમગ્ન હોય તે કવિ,’ એ વ્યાખ્યા સ્વીકારતાં કલાપીને એ વર્ગમાં મૂકી શકાય તેમ નથી.” કવિતાનું ઉત્પાદક મૂળ તે નિરતિશય લાગણી છે; અને આવી પ્રચુર લાગણીઓ કલાપી ચમત્કારિક રીતે વ્યક્ત કરે છે. આ રીતે કલાપીના કવિત્વનો સ્વીકાર કરવામાં જરાયે વાંધો નથી; પરંતુ ‘સ્નેહી’ અને ‘કવિ’ એ શબ્દોથી કલાપીજીવનના બે ભિન્ન વિભાગ પાડવા તેમાં સાચી પરખશક્તિ નથી. સત્ય વસ્તુ તો એ છે કે કલાપી સ્નેહી હતા માટે જ કવિ થઈ શક્યા; અને ગૂઢ કવિ હતા તેથી જ સારા સ્નેહી બની શક્યા.

કલાપીનાં કાર્યોને કાળાનુક્રમે વિચારતાં જણાય છે કે તેના હૃદયનો સ્નેહ કુદરતના કમનીય દર્શનમાંથી ઉદ્ભવતા ભાવ સાથે સંવાદી રીતે ભળી ગયો છે. અનેકશઃ કવિજીવનને નિરાશાની ખીણમાં પડતું બચાવી લેઈ કુદરતનાં અવનવાં તત્ત્વો તેના સ્થૂલ પ્રેમને નિર્મળ બનાવી વધુ સ્થિર ને વ્યાપક કરે છે. પ્રેમ અને પ્રકૃતિપૂજન આમ કવિહૃદય ઉપર ચિરકાળ પ્રભુત્વ ભોગવે છે, અને તેમાં આશાનિરાશાના રંગ ભેળવે છે.