પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૪
સાહિત્યને ઓવારેથી
 


વિનાનું ભાષાંતર તે જીવત ને પ્રાસાદિક નહિ, પણ કેવળ શુષ્ક ને રસવિહોણું થાય છે.

ભાષાંતરના આ આદર્શ કેશવલાલભાઈને પણ માર્ગદર્શક થાય છે. મૂળના શબ્દને નહિ, પણ ભાવને તેઓ અનુસરે છે. શબ્દે શબ્દથી નહિ, પણ મૂળ કૃતિના હાર્દને નિરખતાં નિરખતાં તેઓ આગળ ચાલે છે. જેમ મૂળ કવિ સરળ અને પ્રતિભાસંપન્ન, તેમ તેને પરભાષામાં ઉતારવાનું કાર્ય વધુ કઠિન થાય છે. જેમ મૂળ લેખક વધુ કૃત્રિમ, જેમ તેનામાં શબ્દાલંકાર ને ઝડઝમક વિશેષ, તેમ તેનું ભાષાંતર વધુ સહેલાઈથી થાય. મૂળ લેખકની વિશિષ્ટતા પ્રમાણે આ માર્ગદર્શક ને મૂળભૂત સિદ્ધાંતોમાં કવચિત્ ફેરફાર પણ થાય છે. જેમકે ‘મેળની મુદ્રિકા’માં ભાષાંતરકારે તેના માધુર્ય તરફ ન જતાં તેની કાર્યસંગતિ (unity of action) ઉપર જ વિશેષ ધ્યાન આપ્યું હતું. ‘પરાક્રમની પ્રસાદી’ ઉપર હું આવીશ, ત્યારે આ વિષય ઉપર વધુ વિવેચન કરીશ. હાલ તો પ્રસ્તુત વિષય ઉપર જ પાછો આવું છું.

‘ગીતગોવિદ’ના ભાષાંતરમાં પણ કેશવલાલભાઈ મૂળ કવિને જ વળગી રહે છે. જયદેવ જો ગુજરાતી જાણતો હોત, તો જેવું તે ‘ગીતગોવિંદ’ રચત, તેવું જ ‘ગીતગોવિંદ’ ગુજરાતીમાં ઉતારવાના આપણા કેશવલાલભાઈને કોડ છે. શબ્દાલંકાર નહિ, પણ રસસંક્રાન્તિ તરફ જ તેઓ મીટ માંડે છે. મૂળ કૃતિને જ માર્ગદર્શક માનવા છતાં તેઓ સ્વભાષાને વફાદાર રહે છે, અને એ રીતે જ પોતાના ભાષાંતરને તેઓ ભાવવાહી ને પ્રાસાદિક બનાવે છે. ‘ગીતગોવિંદ’નું માધુર્ય અને તેનું ભક્તિહાર્દ આમ ગુજરાતીમાં તેઓ સચોટ ઉતારે છે. તેથી જયદેવ વધુ જયવંતો બને છે, ને ભાષાંતરકાર વધુ ભક્તિમાન થાય છે.