પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૨
સાહિત્યને ઓવારેથી
 

 આ લેખના પ્રયોજકે શ્રી મોતીભાઈ અમીનની સર્વદેશીય પ્રવૃત્તિઓની વિગતો આપતો એક લેખ અગાઉ પ્રસિદ્ધ કર્યો છે, અને પ્રસ્તુત લેખને સંપૂર્ણ સમજવા તે પ્રથમ લેખ વાચકવર્ગને ઘણો ઉપયોગી થઈ પડશે. પ્રથમ લેખ મુખ્યત્વે સાહિત્યની દૃષ્ટિએ જ તૈયાર થયો હતો; ત્યારે પ્રસ્તુત લેખ કેટલીક સૂક્ષ્મ અને ગૂઢ વિગતો આપવા માટે છે. પ્રથમ લેખ અમીનસાહેબની જાહેરપ્રવૃત્તિઓ ઉપરથી તેમની ઓળખ આપવાનો એક અખતરો હતો, ત્યારે પ્રસ્તુત લેખ તેમના કાર્યપ્રદેશ અને મનઃસૃષ્ટિના અવલોકનથી તેમનું સમગ્ર વ્યક્તિત્વ આલેખવાનો એક નમ્ર પ્રયાસ છે. પ્રથમ લેખ પ્રસિદ્ધ થયો ત્યાર પછી મોતીભાઈ સાહેબે ‘ચરોતર’ માસિકના ૧૯૩૬ના ડીસેમ્બર અંકમાં એક નિવેદન વડે તે લેખમાં કરેલાં સૂચનો ઉપર વેધક પ્રકાશ નાખ્યો છે, અને જાહેર લોકસેવા વિષેનું પોતાનું પ્રમાણિક મંતવ્ય સ્પષ્ટ કર્યું છે. આવા નિવેદને આ લેખકને કૈંક વધુ કહેવાની તક આપી છે; નવી મુલાકાતોથી તેમનું માનસ લેખકને વધુ પારદર્શક લાગ્યું છે; અને થોડીશી વધુ સામગ્રી પણ આ લેખનું નિમિત્ત બની છે. વિનયી અને વિનમ્ર અમીનસાહેબ પોતાના કાર્યની કે જીવનની વિગતો આજે પણ મારા જેવાને જણાવવા તૈયાર નથી એટલું જ નહિ, પણ તેમનું સાન્નિધ્ય સેવતા સ્નેહીવર્ગને અને યુવકવૃંદને પોતાના વિષેની આવી હકીકતો અન્ય કોઇને ન આપવાનું સખત ફરમાન તેમણે ચાલુ જ રાખ્યું છે. વાચકવર્ગને તેથી સમજાશે કે ઉપર જણાવેલાં થોડાંક તત્ત્વો આ લેખનું ઉપાદાન કે નિમિત્તકારણ બન્યાં છે; અને તે બધાનો અત્ર અતિશયોક્તિ–રહિત અને સત્યપ્રધાન દૃષ્ટિએ જ ઉપયોગ કરવામાં આવ્યો છે.