લખાણ પર જાઓ

પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૮
સાહિત્યને ઓવારેથી
 


વિવિધતા અર્પી આકર્ષક બનાવે છે. કર્તવ્યપાલન, આત્મત્યાગ, ઇત્યાદિના સૂક્ષ્મ છતાં વિવિધવર્ણી તાર પણ તેમાં નજરે પડે છે. ઈશ્વરશ્રદ્ધાનો પ્રોજ્જ્વળરંગી ને બળવાન તાર પણ તેમાં દેખાય છે; અને હાસ્યવિનોદના તાર પણ પોતાની ભિન્નતાથી પટને મનોહર બનાવે છે. નિખાલસતા, નીડરતા, નિર્મોહ અને સત્યપાલનના પણ કેટલાય સૂક્ષ્મ તારો તેમાં સ્પષ્ટ ભળેલા જણાય છે. આ અલંકારયુક્ત કથન થોડાં ઉદાહરણથી વધુ સ્પષ્ટ થશે.

મોતીભાઈ સાહેબ મૂર્તિપૂજામાં ભાગ્યે જ શ્રદ્ધા ધરાવે છે, પણ તેઓ નાસ્તિક કે નિરીશ્વરવાદી તો નથી જ. ઈશ્વરના અસ્તિત્વમાં શ્રદ્ધા ધરાવીને તેઓ સામાન્ય રીતે પ્રાતઃકાળમાં ઊઠતાંવેંતજ એક અંગ્રેજી પુસ્તકમાંથી*[] પોતાની દૈનિક પ્રાર્થના ગંભીરતાથી વાંચે છે અને ત્યાર પછી જ ઇતર નિત્યકાર્યનો આરંભ કરે છે. એક સ્નેહીની સૂચના ઉપરથી તેઓ આમ નિયમિત રીતે શ્રીમદ્ ભગવદ્‌ગીતા વાંચવાની ઉમેદ ધરાવે છે. પણ આવા કર્મવીર અને ઉદાત્ત માનવીને એ આધ્યાત્મિક જ્ઞાન શુષ્ક લાગવાનો સંભવ છે; કારણ કે તેમને તો જનસેવામાં જ આધ્યાત્મિક પ્રગતિ દેખાય છે, ને વિશુદ્ધ કર્તવ્યપાલનમાં જ મોક્ષ ભાસે છે. શુભ કાર્ય માટે નિર્મળ વિચાર અને શુદ્ધ સંકલ્પ ઉપર ખૂબ ભાર મૂકતા હોવાથી જ તેઓ પ્રાતઃપ્રાર્થનામાંથી આમ ઘણી પ્રેરણા અને પવિત્રતા પ્રાપ્ત કરે છે.

તો પછી આટ–આટલી પ્રશંસાના અધિકારી શ્રી. મોતીભાઈ શાથી સમગ્ર હિંદમાં કે છેવટે આખા ગુજરાતમાં સુવિખ્યાત નથી ? કારણ કે તેઓને પોતાની શક્તિઓનું અને


  1. *‘Precept and Practice’ by Constance M. Whishaw.