પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રિન્સિપાલ આનંદશંકર ધ્રુવ

અને હવે લઈએ વિદ્યાર્થીસંઘમાં પ્રિય અને પ્રસિદ્ધ થયેલા પ્રિન્સિપાલ આનંદશંકર ધ્રુવ. બુદ્ધિમત્તાની સૂચક ભવ્ય મુખમુદ્રા, ભાલને શોભાવતો પૂર્ણિમાના ચંદ્ર જેવો ગોળ ચાંલ્લો, અને નાગરશાહી પાઘડીના કરંડીઆમાં ઢંકાઈ રહેલી તેમની લાંબી શિખા: આ બધું તેમના તરફ વિદ્યાર્થીઓમાં પૂજ્યભાવ પ્રેરવા માટે બહુ મદદગાર થાય છે; અને જ્યારે આ ‘શ્લથલમ્બિની’ (શિથિલ અર્થાત્ વીખરાએલી અને લાંબી) જટા તેમના ખાનગી અભ્યાસખંડમાં તેમના પીઠપ્રદેશને આવરી લે છે ત્યારે તે પૂજ્યભાવથી પ્રેરાએલા વિદ્યાર્થીને મન તો જાણે કે બુદ્ધિમાન મસ્તિકમાંથી વેદવિદ્યાની વડવાઈઓ ફૂટી બહાર નીકળતી હોયને ! સાહિત્યનાં સમૃદ્ધ સર્જનથી નહિ, તો સરસ્વતીની અવિરત ઉપાસનાથી કેટકેટલા ગુર્જર યુવકોને તેમણે સારસ્વત પ્રેરણાનાં પાન કરાવ્યાં, વિદ્વતાનાં જળ પાયાં, ધર્મનું સ્વરૂપ સમજાવ્યું અને અનુભવનાં સૂત્રો બોધ્યાં. આજે પણ ગુજરાતના મહાવૃક્ષની વિવિધ ટોચે બેઠેલા તેમના કેટલાએ શિષ્યો જોવામાં આવે; અને વર્ષો સુધી તેમણે અધ્યાપકપદ ભોગવેલું હોવાથી આજના ‘વાનર સૈનિક’ના પિતા અને પિતામહ પણ કોલેજમાં તેમનું શિક્ષણ પામ્યાના દાખલા મળી આવે. અમદાવાદની ગુજરાત કોલેજના વિકાસનો પા સદી ઉપરાંતનો ઈતિહાસ તેમના જીવન સાથે સુદૃઢ સંકળાયેલો છે. એવા આ મહાત્માજીના માનીતા અને વર્ચસ્વંતા આચાર્ય ધ્રુવ ભાગીરથીને કાંઠે વારાણસીના હિંદુ વિદ્યાપીઠને વર્ષો સુધી શોભાવી આજે અમદાવાદમાં નિવૃત્તિ સેવી રહ્યા છે.