પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કવિ ન્હાનાલાલ
૨૭
 


વિરોધ ઓગળી જશે, ને ડૉ. ટાગોરના વિશ્વબન્ધુત્વની ઝાંખી થશે.

શ્રી. કવિ એ વિશાળ આમ્રવૃક્ષ છે; ને તેની ડાળીએ ડાળી મ્હોરેલી છે. તેનાં સૌંદર્યદર્શન કરવાં ને તેની કિંમત આંકવી એ છેક સહેલું કામ નથી. તેમની કેટલીક કૃતિઓમાં તો ઇતિહાસ અને કવિત્વ અભેદ્ય મિત્ર બની રહે છે; કારણકે તેમને મન ઈતિહાસનું ખૂન કરી “અસત્યોના પાયા ઉપર ધજાગરા રોપવા તે ઐતિહાસિક કલાયે નથી, કવિતા યે નથી.”

કવિની સર્જનપદ્ધતિ યે બહુ લાક્ષણિક છે. અભ્યાસ, ચિંતન, સર્જન, અને સમાલોચના: આ ચાર અવસ્થાઓ વટાવીને જ તેમની હરકોઈ કૃતિ જગતપ્રકાશ જુએ છે; કારણકે તેમના મતે તો આંબેથી કાચી કેરી ઉતારનારે ઉતાવળ ન કરતાં તેને પકવવા જેટલી ધીરજ રાખવી જોઈએ. ઉતાવળ, અપૂર્ણતા કે છીછરાપણું તેમને બહુ થોડું રુચે છે.

રાસસાહિત્યમાં પણ કવિ ન્હાનાલાલે બહુ કિંમતી ફાળો આપ્યો છે. ગરબા–ઘેલી ને રાસરમણે આનંદતી ગુર્જર સુન્દરીઓને તેમણે કેવા અદ્‌ભુત ને અમર રહે તેવા રાસ આપ્યા છે ! ‘મહીડાં’ ‘પૂછશો માં’ ‘રૂપલા રાતલડી’ ‘દેવનાં દાન દીધાં’ વગેરેમાં કવિએ કોઈ અનુપમ રીતે જ હૃદયના કોમળ ભાવોને સ્પર્શ્યા છે; અને વિશેષ પરિચય માટે ‘રાસકુંજ’ અને તેમાં આપેલી કવિની અભ્યાસપૂર્ણ પ્રસ્તાવના જુઓ. આજે તેમના કેટલાયે રાસ ને ઢાળ વિવિધ અનુકરણોનો વિષય બન્યા છે. પણ કવિએ આ બધું કર્યું તે પુરોગામીઓનું સાહિત્ય–ઋણ સ્વીકારીને જ.