પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨
સાહિત્યને ઓવારેથી
 


બીજમાંથી રોપ થાય ને રોપમાંથી વૃક્ષ થાય તે જ રીતે મુનશીનાં પાત્રો ઉત્તરોત્તર સ્વાભાવિક વિકાસ પામતાં કહી શકાય.

અને આ ગુણદર્શનની જમે બાજુને ત્રુટીઓની ઉધાર બાજુ પણ છે. ‘રેખાચિત્રો’ની વિશાળ સૃષ્ટિ રચનાર બ્રહ્માના જેવી ઉધાર બાજુને ઊંચી મૂકવાની ‘પંડા,’ કે જમે બાજુને જ નમતી બતાવવાની ‘નાગરિકતા’ મારામાં બહુ થોડી છે, ને તેથી જ મારે તેની સાથે છાયા પણ બતાવવી રહી. મુનશીનાં પાત્રો કેટલેક અંશે તો સ્વછંદી, સાહસિક, સત્તાશીલ, તોફાની કે યુક્તિ–પ્રયુક્તિવાળાં છે. તેમના પાત્રાલેખનમાં જાણે કે આત્મલક્ષિત્વના (Subjectivity) જ ઓળા પડતા હોય તેમ તેમનાં પાત્રોની એક વખત જે વિવિધતા ને વિશિષ્ટતા સમજી લીધી તો પછી વગર વાંચ્યે પણ તેમની કોઈ પણ નવલકથાનાં પાત્રો વિષે તમે જ્ઞાન ધરાવવાનું સાહસ કરી શકો. પાત્રોના સુંદર સમન્વય ખાતર મુનશીએ ઈતિહાસનું ખૂન કર્યું, ને યુરોપના સાહિત્યનાં કેટલાંક પાત્રોને ગુજરાતી સ્વાંગ સજાવી ઈતિહાસને ઉવેખ્યો; નહિ તો તેમનાં પાત્રો પ્રેમાનંદનાં પાત્રો જેવાં ગુજરાતી અને ગુર્જર સંસ્કૃતિના પ્રેરક કેમ ના લાગે ? અને તેમના ‘પુરંદર,’ ‘ચ્યવન,’ ‘જયસિંહ,’ કે ‘કીર્તિદેવ’ વિદ્વાન અને રસિક વિવેચકોને કેમ કૃત્રિમ અને અનૈતિહાસિક લાગે ? પણ એ તો જેમ તેમનાં કેટલાંક વિભૂતિમાન પાત્રો યે મનુષ્યની સહજ ત્રુટિઓથી પર થઈ શકતાં નથી, તેમ તેમની ઉત્તમ નવલકથા પણ ઈતિહાસ સાથે સ્વચ્છંદતાએ વર્તવાની લાલચને દૂર ન કરી શકે તો તે બહુ આશ્ચર્યકારક ન લેખાય. આટલું તો માત્ર સુત્રાત્મક રીતે જ; નહિ તો પછી સાહિત્યસંસદ મુનશી માટે ક્યાં ઓછો પક્ષપાત ધરાવે છે ?