પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દી. બ. નર્મદાશંકર મહેતા
૫૫
 


સતત ચાલુ રાખવો તે કેટલું કઠિન છે તે તો અનુભવે જ સમજાય.

નર્મદાશંકરભાઇનું ઘડતર જરા વિચારીએ તો જણાશે કે મોસાળમાં મામા ને માતામહે તેમને ધર્મ અને સાહિત્યના સંસ્કાર આપ્યા, શ્રીમન્નૃસિંહાચાર્યની પ્રેરણાએ તે સંસ્કારોને પાંગરાવ્યા ને પ્રો. મણિલાલ દ્વિવેદી, પ્રો. જેકીશનદાસ કણીઆ ને પ્રો. આનંદશંકરભાઈ ધ્રુવના પરોક્ષ કે પ્રત્યક્ષ સંપર્કે તેમને ફળવંતા કર્યા. રેવન્યુ ખાતાએ તેમને લોકોના સમાગમમાં લાવી વેદિયા પંડિત થતા અટકાવ્યા, ને માનવજીવનના પ્રપંચો અને ત્રુટિઓની પર લઈ જઈ તેમની પારલૌકિક દૃષ્ટિને પોષી; કાયદાના જ્ઞાને તેમની સમાલોચના ને સંશોધનની શક્તિઓને વધુ સૂક્ષ્મ ને ચોક્કસ બનાવી, અને રાજ્યતંત્રના અભ્યાસે ધર્મ ને તત્ત્વજ્ઞાનના વિરોધી દેખાતા પ્રવાહોને સુસંવાદી બનાવવાની તેમને કુનેહ અર્પી.

તેઓ હાઈસ્કૂલમાં ભણતા ત્યારે સુધારાના ભણકાર શમી ગયા હતા, ને કવિ નર્મદ ઉચ્છેદક મટી સંરક્ષક બન્યો હતો; તેથી જૂની ધાર્મિકતાના ધામ સરીખા મોસાળમાં નર્મદાશંકરભાઈને ધર્મ, સમાજ ને રાજકારણમાં પણ ખંડક નહિ પણ સંરક્ષક થવાના જ સંસ્કારો મળ્યા. નાગરત્વ ને નાગરિકતાથી અંકાયેલા આ સંસ્કારે ભવિષ્યમાં દૃષ્ટિવિશાળતાએ રંગાયા, ને કબૂલ કરવું પડે કે તે અસ્પૃશ્યતાનિવારક પણ બન્યા; છતાં કદી એ સચોટ ખંડનાત્મક તો ન જ બન્યા. તેમની ધાર્મિક વૃત્તિઓ ઉચ્છેદ નહિ. પણ સંવાદને જ શોધે છે; તેમના રાજકારણના વિચારો ક્રાન્તિકારક ન બનતાં ક્રમિક વિકાસનું શરણ શોધે છે; અને મામાના ‘ભારતીભૂષણે’ ને દોલતરામના ‘ઈન્દ્રજીતવધ’ કાવ્યે પોષેલા સાહિત્યના સંસ્કાર પણ તેવી જ સંરક્ષક નીતિમાં વિહરે છે.