પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮ : સાહિત્ય અને ચિંતન
 

આબાદીને, ધનને, મિલકતને માલિકીના સંચામાંથી છોડાવી શકી નથી. એટલે સહુ કાઈ પોતપોતાની મિલકત સાચવવા અને વધારવાની જંજાળમાં પડી કલેશ અને ધર્ષણ ઊભાં કરે છે. મિલકત ઉપર માલિકી રહેશે ત્યાં સુધી આ ઘર્ષણ ચાલ્યા કરવાનાં છે. પરંતુ સાહિત્ય તો સહુની મઝિયારી મિલકત બની રહે છે એમાં કોઈનો ભાગ-લાગ નથી. વાપર્યે વધે જ જાય એવી એ આબાદી છે, સાહિત્ય એટલે સંસ્કારધન. એ ધન લગભગ ચિરંજીવી છે. માનવીની માણસાઈ એનું પોષણ પામી જીવી રહે છે માટે જ સ્થૂલ ધન કરતાં સંસ્કારધન વધારે ચડિયાતું. પાંચસો વર્ષ ઉપર કયા ધનિકનો ધન ભંડાર મોટામાં મોટો હતો એની આપણને ખબર નથી, એની આપણને જરૂર પણ નથી. પરંતુ આપણે એ તો નોંધી રાખ્યું છે કે ચારસો પાંચસો વર્ષ ઉપર નરસિંહ અને મીરાં જેવી બે સાહિત્યવ્યક્તિઓ ગુજરાતમાં એવું સંસ્કારધન વેર્યે જતી કે જે આજ પણ આપણને વાપરવા મળે છે.

[૨]

સાહિત્ય તમને ગમ્યું હોય તો, હવે આવો ! આપણે સાહિત્યનો માર્ગ શોધીએ.

તમને પેલું ગીત તો યાદ હશે જ :

‘હરિનો મારગ છે શૂરાનો,
નહિ કાયરનું કામ જોને.

સાહિત્યનો માર્ગ બતાવતાં હરિનો માર્ગ કેમ સાંભરી આવ્યો ? તમને ધાર્મિક બનવાનો બોધ કરવાનો છું એમ રખે માનતા. એ માર્ગ વિકટ છે.

પરંતુ સાહિત્યનો માર્ગ પણ જાણે વિકટ હોય એવી ઘણાની માન્યતા છે. સાહિત્ય એટલે મહાભારે શબ્દોને સમૂહ, ન સમજાય એવા અર્થવાળી વાણી, કે મહામહેનતે પકડાય એવી કલ્પના. એવોભ્રમ સામાન્ય જનતામાં પેસી ગયો છે.

અને સાહિત્યકારો એટલે જાણે વિદ્વત્તાના ભારથી દબાઈ ગયેલા, આપણને ન સમજાય એવું ડહાપણ ઉચ્ચારનારા, ચિંતનમાં ઊંચી ચડી