પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાહિત્યનો માર્ગ : ૨૯
 

ગયેલી ભમરોવાળા, સહુનું નમન માગતા મહાપુરુષો અને મહાપંડિતો હોય એવો કાંઈક ભાસ થાય છે, નહિ?

અથવા ઊડતા અવ્યવસ્થિત વાળવાળા, ઠેકાણું વગરનાં કપડાં પહેરતા, રૂપાળા, પરંતુ વ્યસની અને શિથિલ નીતિવાળા અનિયમિત પ્રેમ પાછળ દોડતા ચક્રમ, બેદરકાર, મોજીલાવંઠેલ અને વિલાસી પુરુષોનો ખ્યાલ આવે છે. ખરું ?

આમાંનાં થોડાં અગર વધારે લક્ષણો કદાચ સાહિત્યકારમાં હોય પણ ખરાં, પરંતુ એ લક્ષણો એ સાહિત્ય કે સાહિત્યકારનું આવશ્યક તત્ત્વ છે એમ રખે માનતા ! સાહિત્યકાર ન હોય એવા કંઈક ભારેખમ માનવીઓને આપણે જોયા છે. સાહિત્યકાર ન હોય એવા કૈંક મોજી લહેરી માનવોને તમે ઓળખો છો. સાહિત્યને અને અતિ ડાહ્યાપણાને, સાહિત્યને અને અતિ મોજીલાપણાને આવશ્યક સંબંધ નથી જ. સાહિત્ય કે સાહિત્યકાર માટે ઊભા થયેલા આ ભ્રમ દૂર કરવા જ જોઈએ. સાહિત્ય એ માનવીનું માનવ જાતનું બળ છે, અને સાહિત્યકાર પણ મારા-તમારા જેવો જ માનવી છે. સાહિત્યકારને અસ્પૃશ્ય ગણી તેનાથી દૂર ન નાસશો. સાહિત્યકારની એક કલ્પિત મૂતિ બનાવી તેને દેવ–મંદિરમાં પધરાવી દૂરથી એને નમન પણ ન કરશો. સાહિત્યકાર આપણાથી જુદો નથી. હું અને તમે પણ સાહિત્યકારની બહુ જ નજીક હોઈ શકીએ,

કારણ ?

બાળપણથી સાહિત્ય માનવજાતને ઘડે છે, મને અને તમને બાળપણનું કશું ભાન ન રહે એ સાચું, પરંતુ આપણને સુવાડતાં હીંચોળતાં આપણી માતા કે મોટી બહેન હાલરડાં ગાતી એટલો ખ્યાલ તો આપણે સ્મૃતિમાં સંધરી રાખ્યો છે :

હાલ વ્હાલા ને હલકી,
આંગણે વાવોને રે ગલકી

એ હલકી અને ગલકીના સહેલા પ્રાસ વાળી કવિતા આપણો પહેલો –બાલ્યાવસ્થાનો–સાહિત્યપ્રવેશ. અને આવાં હાલરડાં અને બાલગીતોનો પરિચય આપણને નાનપણથી થાય છે. નહિ ? બાલપણનાં ઘણાંય ગીત તમને યાદ