પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગુજરાતી સાહિત્યની ઉણપો : ૬૧
 

ગાળી કાઢયું છે. આ બે ઉણપો ગુર્જર સાહિત્યમાં ખાસ દેખાઈ આવે છે.

૩ કદાચ આ જ કારણને લઈને એક ત્રીજી ઉણપ પણ ગુર્જર સાહિત્યની દેખાઈ આવશે. ગુજરાત પોતાની વિભૂતિઓને બહુ ઓળખાતું નથી. પરિણામે ટાગોર અને ઈકબાલ જેમ બંગાળ અને પંજાબ ઓળંગી જઈ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામ્યા, તેમ ગુજરાતી સાહિત્યનો કોઈપણ અગ્રણી એવી ખ્યાતિ પામી શક્યો નથી. સંભવિત છે કે ગુજરાતી પ્રજની માફક ગુજરાતી સાહિત્યકારને વિશ્વવ્યાપક થવાની ઊંડી અને ક્રાંતિકારી લાલસા ન પણ હોય. એ લાલસાને એ અભાવ સારો કે ખોટો એ પ્રશ્ન બાજુએ મૂકીને આપણે તેની અસર તો જોઈ શકીએ જ છીએ કે ગુજરાતી સાહિત્ય આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ભલે ન પામ્યું હોય, પરંતુ તે આંતરપ્રાંતીય ખ્યાતિની પણ વંચિત રહેલું છે. હિંદના બીજા કોઈપણ સાહિત્ય સાથે ઊભા રહેવાની આજના ગુજરાતી સાહિત્યમાં શક્તિ હોવા છતાં અન્ય પ્રાંતના સાહિત્ય જેટલી તેની હિંદમાં પ્રતિષ્ઠા તો નથી જ.

૪ ગુજરાતની આબોહવા તેમ જ ગુજરાતની અન્ય પ્રાંતો કરતાં સુખી અવસ્થા ગુજરાતી સાહિત્યને અભ્યાસના મહાઊંડાણમાં પહોંચવા દેતી નથી. ગુજરાતમાં અભ્યાસીઓ નથી એમ નહિ, ભગવાનલાલ ઇંદ્રજીએ પુરાતત્ત્વ સરખા વિશિષ્ટ અભ્યાસના પ્રદેશમાં આખા હિંદમાં પહેલ કરી એમ કહી શકાય. છતાં અન્ય પ્રાંતોના અભ્યાસની સરખામણીમાં ગુજરાતના પંડિતો અને અભ્યાસીઓને ભાગ્યે જ ઊભા રાખી શકાય–સંખ્યાની દષ્ટિએ અને ગુણની દષ્ટિએ. આમ ગુજરાતી સાહિત્યની ઉણપો જોવા જઈશું તો નીચેની ઉણપ દેખાઈ આવશે :

૧:–ભાષાના ઉચ્ચારણમાં પૂરતા બળનો અભાવ.
૨:-દેશાભિમાનનું છીછરાપણું અને દેશાભિમાનની પાર વેરાઈ જઈ નબળાં બની જતાં ઊર્મિ ઊંડાણો.
૩:–આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચવાની સાહિત્યની અશક્તિ.
૪:-અભ્યાસ માટેની શક્તિ, ખંત, ઊંડાણ અને ચીવટાઈનો અભાવ.