ભાંગી ગયો. એના હૈયા ઉપર એક પડખું ખૂંદી રહી પુત્ર નાગડાની સ્મૃતિ, ને બીજે પડખે ચડી બેઠી સરાણિયણ કન્યા.
ત્રીજા પહોરની ખેરિયાત પહેરેગીરે પોકારી લીધી. વજીરાણીએ વજીરના સૂવાના ઓરડાનું બારણું ધકેલ્યું.
“કોણ ?”
“લૂગડાં લાવી છું.”
“હા, ભલે.”
એ રોજની ક્રિયા રોજની રીતે જ પતી ગઈ, રાતની વાતનો બેમાંથી એકેય જણે ઉચ્ચાર ન કર્યો. સંપૂર્ણ સજાવટ થઈ ચૂકી તે પછી વજીરાણીએ ભાલો હાથમાં આપ્યો. બન્નેના વર્તનમાં રાતવાળા બનાવની એકેય અસર વ્યક્ત નહોતી. અવ્યક્ત મંથનમાંથી તો કોણ ઊગરી શક્યું છે ?
વજીરે ઘર છોડ્યું ત્રીજે પહોરે. ચોથા પહોરે વજીરાણીએ પોતે પણ ઘરને જીવ્યામૂઆના જુહાર કર્યા.
યમુનાના કિનારા પર એકાંતે એક પડાવ પડ્યો હતો. પણ લશ્કરી ઠાઠમાઠ એ પડાવમાંથી ગેરહાજર હતા. છતાં દીદાર કોઈ પલટનની છાવણી જેવો હતો. એક મંદિર હતું. ઊંચા થંભની ટોચે ઝંડો ફરકતો હતો. ઝંડાનો રંગ ભગવો હતો. પરોઢના શંખનાદ સંભળાયા, ને પોષ મહિનાના પવનફૂંફાડે હમણાં જાણે થીજી જશે એવાં યમુના-વહેનની ઊંડી ધારામાં નખશિખ નગ્ન, એવાં આઠસો-હજાર પોલાદી શરીરોએ ‘જય ગુરુ દત્ત’ની ત્રાડ દેતે દેતે ઝંપાપાત કર્યો.